વરુણ ધવનની દુલ્હનિયાએ ના ભર્યું સિંદર કે ના પહેર્યું મંગળસૂત્ર, હાથમાં નહોતો લગ્નચૂડો

મુંબઈઃ વરુણ ધવન તથા નતાશા દલાલે 24મી જાન્યુઆરીના રોજ અલીબાગમાં લગ્ન કર્યાં હતાં. વરુણે મેન્શન હાઉસની અંદર જ પોતાની જાન કાઢી હતી. વરુણ તથા નતાશા લગ્નના બે દિવસ બાદ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ અલીબાગથી મુંબઈ પરત ફર્યા હતા.

નવાઈની વાત એ છે કે લગ્નને માત્ર બે જ દિવસ થયા હોવા છતાંય વરુણની પત્ની નતાશાએ ના સેથામાં સિંદૂર પૂર્યું હતું કે ના પછી ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું.

વરુણ ધવન તથા નતાશા દલલાલ અલીબાગથી જેટીમાં બેઠાં ત્યારે બંનેએ એકબીજાનો હાથ પકડીને રાખ્યો હતો. વરુણ ધવન મરૂન રંગના કુર્તા પાયજામામાં તો નતાશા દલાલ સિલ્વર રંગના સલવાર સૂટમાં જોવા મળ્યા હતા.

જેટીમાં ઊભા રહીને વરુણ તથા નતાશાએ ફોટોગ્રાફર્સને સહજતાથી પોઝ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે નતાશાએ પોતાના લગ્નમાં નો ફોન પોલિસીને કડકપણે અમલ કરાવ્યો હતો. નતાશાએ લગ્નમાં આવનાર તમામ મહેમાનોના ફોનમાં સ્ટીકર લગાવ્યા હતાં અને સ્ટાફના ફોન જપ્ત કરી લીધા હતા.

લગ્ન બાદ વરુણ ધવને પોતાના લગ્નની, મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. લગ્નના 10 દિવસ બાદ વરુણ ધવન અરૂણાચલ પ્રદેશમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગ અર્થે જશે.