બેંકે ગ્રાહકોને મોકલ્યું એલર્ટ, 12 જ દિવસમાં કરાવી દો આ કામ નહીંતર બંધ થઈ શકે છે તમારું ખાતું

નવી દિલ્હી: તાજેતરમાં જ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ તેનાં ગ્રાહકોને એસએમએસ મોકલી એલર્ટ આપ્યું છે. હવે જો ગ્રાહકો બેંકની વાતનું પાલન નહીં કરે તો, તેમના બેંક અકાઉન્ટને ફ્રિઝ કરવામાં આવી શકે છે, એટલે કે, અકાઉન્ટમાં પૈસા હોવા છતાં, ગ્રાહક તેમાંથી લેણ-દેણ નહીં કરી શકે. એસબીઆઈએ ગ્રાહકોને કેવાયસી (Know Your Customer (KYC)) પૂરું કરવાનું કહ્યું છે. બેંક દ્વારા કેવાયસી પૂરું કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2020 નક્કી કરવામાં આવી છે. એટલે હવે જો કોઇ ગ્રાહક સમયમર્યાદા અંતર્ગત તેના દસ્તાવેજ બેંકમાં લઈ જઈને કેવાયસી પૂરી નહીં કરાવે તો, તેનું બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા બધી જ બેંક માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે.


કેમ મહત્વની છે કેવાયસી?
કેવાયસી કર્યા વગર રોકાણ કરવું શક્ય નથી અને તેના વગર બેંકમાં ખાતું ખોલાવવું પણ સરળ નથી. જો તમે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો, તમારા માટે કેવાયસી અનિવાર્ય છે. આ ઉપરાંત બેંકમાં લૉકરી સુવિધા હોય કે પછી પીએફમાંથી પૈસા ઉપાડવાના હોય, આ બધી જ સુવિધાઓ માટે કેવાયસી ફરજિયાત છે.

આરબીઆઈએ ગ્રાહકોને મોકલ્યો આ એસએમએસ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બધી જ બેંકના ખાતા ધારકો માટે કેવાયસી ફરજિયાત કર્યું છે. જેને ધ્યાનમાં રાખીને એસબીઆઈએ તેના ગ્રાહકોને એસએમએસ મોકલવાના શરૂ કરી દીધા છે. જેમાં લખ્યું છે, “ભારતીય રિઝર્વ બેંકના દિશ-નિર્દેશો અનુસાર તમારા ખાતામાં કેવાયસી દસ્તાવેજો અપડેટ કરાવવા ફરજિયાત છે.” આ માટે નવા કેવાયસી દસ્તાવેજો સાથે તમારી એસબીઆઈની શાખામાં જઈને સંપર્ક સાધો. કેવાયસી પૂરું કરવામાં નહીં આવે તો, આગામી સમયમાં તમારા ખાતામાં લેણ-દેણને અટકાવી શકાય છે.

કેવાયસી માટે મહત્વનાં ઓળખપત્રો
કેવાયસી દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, તમારી બેકિંગ સેવાઓનો કોઇ દુરૂપયોગ નથી કરી રહ્યું. એસબીઆઈની વેબસાઇટ અનુસાર, કેવાયસી માટે ઓળખપત્ર આપવું મહત્વનું છે. આ માટે તમે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ, નરેગા કાર્ડ, પેન્શનનું કાર્ડ કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ઓળખ પત્રનો ઉપયોગ કરી શકો છે. ખાસ ધ્યાનમાં રાખો કે, તમે જે પણ ઓળખ પત્ર બતાવો તેમાં તમારું સરનામું એ જ હોવું જોઇએ, જે તમે ખાતુ ખોલાવતી વખતે ફોર્મમાં આપેલું હોય.

સરનામાનો પૂરાવો આપવો પણ ફરજિયાત
ઓળખપત્રની સાથે-સાથે તમારે તમારા સરનામાનો પૂરાવો પણ આપવાનો રહેશે, આ માટે તમે ટેલીફોન બિલ, બેંક ખાતાની પાસબુક, માન્ય સરકારી સંસ્થા દ્વારા આપવામાં આવેલ પત્ર, લાઇટબિલ, રાશન કાર્ડ, વિશ્વસનીય કંપની દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો છો.