માતાજીના દર્શન કરી ફરતા નામચીન કુકી ભરવાડનું મોત, કારના બૂકડો બોલી ગયો

કુખ્યાત કુકી ભરવાડનું રોડ અકસ્માતમાં હચમચાવી દેતું મોત નિપજ્યું છે. કાર થાંભલા સાથે અથડાતા કુકી ભરવાડે માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના એસ.ટી.વર્કશોપ પાસે ખોડિયારપરામાં રહેતા નામચીન કુકી ભરવાડ ઉર્ફે રાજુશિયાળીયાને રોડ અકસ્માત નડ્યો હતો. 35 વર્ષીય કુકી ભરવાડ પોતાની ક્રેટા કાર લઈ બોટાદ-રાણપુર પાસેમાં ગઢડિયા ગામે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો.

મંદિરે દર્શન કર્યા બાદ રાત્રિના સમયે કુકી ભરવાડ પરત રાજકોટ આવતો હતો ત્યારે ગઢડીયા ગામ નજીક પોતાની ક્રેટા કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં તેને માથામાં અને શરીરને ગંભીર ઇજાઓ થતા તુરંત બોટાદ પ્રાથમિક સારવાર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા તેમને ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો.

કુકી ભરવાડ ઉર્ફે રાજુશિયાળીયાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી નાનો હતો. પોતે શ્રી રાધિકા નામની બચત ખાતાની મંડળી ચલાવતો હતો. કુકીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

નોંધનીય છે કે કુકીએ અગાઉ પોલીસ ફરિયાદનો ખાર રાખી એક કારખાનેદાર પર હુમલો કર્યો હતો. જે બનાવમાં માલવિયા નગર પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા પીએસઆઈ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પુનિતનગરના ટાંકા પાસે ચામુંડા હોટેલ નજીક પકડવા ગયો ત્યારે તેની પર કુકી અને તેના સાગરીતોએ સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો. કુકી વિરૂદ્ધ અગાઉ મારામારી સહિત અનેક ગુન્હા પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.