ગુજરાતના જાણીતા ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીએ પતંગ ચગાવીને માણી મજા, જુઓ તસવીરો

અમદાવાદ: ડાયરાનું નામ પડે અટલે આપણી આંખો સામે એક ચહેરો તરી આવે. એ ચહેરો એટલે ‘ડાયરા કિંગ’. દુનિયામાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે જ્યાં કીર્તિદાનનો ડાયરો ના યોજાયો હોય.  કીર્તિદાનનો જન્મ તેમના મોસાળ સુરેન્દ્રનગરમાં થયો હતો. ચરોતરના વાલવોડ ગામે સામાન્ય કુટુંબમાં જન્મેલા કીર્તિદાને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તો આવો એક નજર કરીએ કીર્તિદાનની જીવન સફર પર…

આણંદ જિલ્લાના વાલવોડ ગામે ગઢવી પરિવારમાં કીર્તિદાનનો જન્મ થયો હતો. ચારણ-ગઢવી પરિવારમાં સંગીત લોહીમાં હોય છે, એમ કીર્તિદાનને પણ બાળપણથી જ સંગીતનો જબરદસ્ત શોખ હતો.

કીર્તિદાન વાલવોડ ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. બાદમાં વલ્લભવિદ્યાનગરમાં બે વર્ષ સુધી બી.કોમનો અભ્યાસ કર્યો. જોકે, મન સંગીતમાં પરોવાયેલું હોવાથી તેમને અભ્યાસમાં બહુ રુચી પડી નહોતી.

બાદમાં તેમણે વડોદરા યુનિવર્સિટીમાંથી ક્લાસિકલ સંગીતનો અભ્યાસ કર્યો અને માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારથી કીર્તિદાનની સંગીત ક્ષેત્રેની અવિતરત યાત્રા ચાલુ છે. સંગીતની ડિગ્રી બાદ કીર્તિદાને સંગીત શિક્ષક તરીકે બે વર્ષ નોકરી પણ કરી હતી.

શોખને કારણે શાળા કે સ્પર્ધામાં જ્યાં પણ તક મળે ત્યાં કીર્તિદાન ગાતા હતા. કીર્તિદાનના પિતા પણ આ ફિલ્ડમાં હતા એટલે વિરોધ કરતાં કે તું આ ક્ષેત્રમાં જા એનો વાંધો નહીં પણ તું આર્થિક ઉપાર્જન નહીં કરી શકે. જીવન ફક્ત ગાવાથી નહીં ચાલે. પણ કીર્તિદાનના મોટાભાઈ જગદીશભાઈને તેમની પર ભરોસો હતો કે આ જીવનમાં કંઈક કરશે ખરો. એટલે ઘરના વિરોધ વચ્ચે તેમણે કીર્તિદાનને મ્યૂઝિકમાં એડીમીશન લેવા દીધું હતું.

સ્ટેજ પર કીર્તિદાનને ગાવાનો પહેલો અવસર પેટલાદ પાસેના રામોદડી ગામે નવચંડી યજ્ઞમાં મળ્યો હતો. અહીં તેમણે ડોલરભાઈ ગઢવી સાથે ‘શ્યામ પીયા મોરે રંગ દે..’ ગીત ગાયું હતું.

આજે ડાયરાના એક પોગ્રામ માટે કીર્તિદાનને લાખો રૂપિયા મળે છે, પણ કીર્તિદાનને કલાકાર તરીકે પહેલાં પોગ્રામ માટે 400 રૂપિયા મળ્યા હતા. સ્વ. જયદેવ ગઢવીએ કીર્તિદાનને નાના કેરળામાં એક ડાયરામાં કલાકાર તરીકે ગાવાની તક આપી હતી.

કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સુખમાં બાળક મોડું મોટું થાય છે પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત.

કીર્તિદાને કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં આ ફિલ્ડમાં નામ કમાવવા ખૂબ સહન કરવું પડ્યું છે. અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં. અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો. ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા. પણ હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે.

ડાયરામાં લોકોને હસી હસીને લોટપોટ કરી દેનાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી વચ્ચે ખૂબ સારી મિત્રતા છે. બંને વચ્ચે મામા-ભાણાનો સંબંધ છે. બંનેને જોડી એવી જામી ગઈ કે આજે ડાયરામાં કીર્તિદાન-માયાભાઈની જોડી ખૂબ લોકપ્રિય છે.

મધ્યગુજરાતમાં જન્મેલા કીર્તિદાનની ‘કીર્તિ’ બાદમાં સૌરષ્ટ્ર-કચ્છમાં ખ્યાતિ ફેલાઈ. કીર્તિદાનના સૂરનો એવો તો જાદુ ફેલાયો કે સૌરષ્ટ્ર-કચ્છ કીર્તિદાનના ડાયરામાં હકડેઠઠ માનવ મેદની ઉમટવા લાગી.

ધીમે-ધીમે સૌરાષ્ટ્ર બહાર ગુજરાતના અન્ય વિસ્તાર અને બાદમાં ગુજરાત બહાર મુંબઈમાં કીર્તિદાનના ડાયરા યોજાવા લાગ્યા. ગુજરાતીઓનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો કે ગુજરાતની બહાર પણ તેમની ડિમાન્ડ થવા લાગી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો.

આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. અમુક ગીત અમુક કલાકારો માટે બનેલા હોય છે. એ જ રીતે ‘મોગલ છેડતાં કાળો નાગ’ એ કીર્તિદાનનું બ્રાન્ડ સોંગ ગણાય છે. બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર સચીન-જીગરના ‘લાડલી’ આલ્બમમાં કીર્તિદાનના અવાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.


કીર્તિદાનને પરિવારમાં પત્ની સોનલ, અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા.

કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે, એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે.