સિંગર જીજ્ઞેશ કવિરાજે ખેરાલુમાં માતાજીના મંદિર સુધી દંડવત ચાલી માનતા પૂરી કરી, લોકોએ કર્યું સ્વાગત

હાલ ગુજરાતી સંગીત જગતમાં એક એવો સિતારો છે, જે કોઈ ઓળખાણનો મોહતાજ નથી. વાત થઈ રહી છે ગુજરાતી ફેમસ સિંગર જીજ્ઞેશ કવિરાજ એટલે કે જીજ્ઞેશ બારોટની. તમે યુટ્યૂબ પર નજર કરશો તો જીજ્ઞેશ બારોટના સોંગ પર હજારો નહીં લાખોની સંખ્યામાં વ્યૂઝ આવે છે. તેનું કોઈ સોંગ બહાર પડે અને ફેમસ ન થાય એવું બને જ નહીં. પોતાના સૂરથી હજારો લોકોના દીલ જીતી લેનારા જીજ્ઞેશ બારોટને દેવી-દેવતામાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. હાલમાં જ જીજ્ઞેશ બારોટે અમદાવાદથી છેક ખેરાલુ ચાલતા જવાની તેના દીકરા જયવીર બારોટની માનતા પૂરી કરી હતી.

જીજ્ઞેશ બારોટે અમદાવાદથી છેક 120 કિલોમિટર દૂર ખેરાલુ ચાલતા જઈ દીકરા જયવીર બારોટની માનતા ઉતારી હતી. જીજ્ઞેશ બારોટ પરિવાર સાથે ચાલતા ગયા હતા. જીજ્ઞેશ બારોટનું રસ્તામાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. દીકરો જયવીર એક વર્ષનો થતાં જીજ્ઞેશ કવિરાજે ચાલીને જવાની માનતા પૂરી કરી હતી.

જીજ્ઞેશ બારોટ ખેરાલુ સુધી ચાલતા ગયા હતા. ખેરાલુમાં પ્રવેશ બાદ તેઓ હિંગળાજ માતાજી અને જળિયાવીર દાદાના મંદિર સુધી દંડવત ગયા હતા. ખેરાલુ સુધી ચાલતાં પહોંચી ગયા બાદ આ દંડવત ચાલવાની કઠીન માનતા પણ તેમણે પૂરી કરી હતી. ખેરાલુમાં જીજ્ઞેશ બારોટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ અંગે જીજ્ઞેશ બારોટે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે, ‘‘મિત્રો અને સ્નેહીજનોએ અમને ચાલવામાં પ્રોત્સાહન આપી અમારો ઉત્સાહ અને હિંમત વધારી હતી. અમારું ઠેર-ઠેર પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મિત્રોએ પોતાનો કિંમત સમયનો ભોગ આપી અમારા જરૂરિયાતવાળા સ્થળોએ રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. કલાકાર મિત્રો પણ અમારી હિંમત વધારવા ખરા સમયે અમારી પડખે ઉભા રહ્યા હતા. મનથી માનેલ જયવીર બારોટની માનતાની બાધા આપ સૌના સાથ અને સહકારથી સરત રીતે પરિપૂર્ણ થઈ એ જ મારો અહો ભાગ્ય…હું આપ સૌનો આભારી છું અને રહીશ’’

જીજ્ઞેશ બારોટની આજની સફળતા રાતોરાત નથી આવી. સંગીતના દુનિયામાં આજે ટોચના સ્થાને બિરાજેલા જીજ્ઞેશ બારોટ (કવિરાજ)એ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેની આજની જાહોજલાલી પાછળ સખત મહેતન અને ખંત છુપાયેલું છે.

વર્ષ 1988માં મહેસાણાના ખેરાલુમાં જન્મેલા જીગ્નેશ બારોટ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે. જીજ્ઞેશ કવિરાજને બાળપણથી ગીતો ગાવાનો શોખ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.

નાની ઉંમરથી જ પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામોમાં જતા હતા. જોકે ઘરેથી બધાની ઇચ્છા હતી કે જીગ્નેશ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે, પણ જીગ્નેશને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેને સંગીત ફીલ્ડમાં જ પોતાનું કરિયર બનાવવું હતું.

એક દિવસ જીગ્નેશ બારોટના ફળિયામાં એક લગ્ન પ્રસંગ હતો. અહીં જીજ્ઞેશ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી. માત્ર 13 વર્ષના જીગ્નેશને જોઈ કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપ્યું હતું. આ તકનો ફાયદો ઉઠાવીને જીજ્ઞેશ કવિરાજ તેના પ્રિય સિંગર મણિરાજ બારોટનું ‘લીલી તુવેર સૂકી તુવેર’ ગીત લલકારે છે. જીજ્ઞેશના સૂરથી બધા અભિભૂત થઈ ગયા હતા. સંગત સ્ટુડિયોવાળા કમલેશભાઈને પણ જીજ્ઞેશનો અવાજ ખૂબ પસંદ આવી ગયું હતું. તેમણે જીજ્ઞેશને પોતાના સ્ટુડિયોમાં આવીને મળવાનું કહ્યું હતું.

બાદમાં જીજ્ઞેશ કવિરાજ કમલેશભાઈના સ્ટુડિયોમાં ગયા હતા. અહીં કમલેશભાઈ તેમને કહ્યું હતું કે દશામાનું વ્રત ચાલતું હોવાથી તેમના પર તારા અવાજમાં એક કેસટે રેકોર્ડ કરવાની છે. અહીંથી જીજ્ઞેશ બારોટનું નસીબ પલટાય છે. તેમના અવાજમાં ‘દશામાંની મહેર’કેસેટ બહાર પડે છે. આ કેસેટ બધાને એટલી ગમી ગઈ કે તેની લાખોની સંખ્યામાં વેચવા લાગી અને જીજ્ઞેશ કવિરાજ રાતોરાત ગુજરાતમાં ફેમસ થઈ ગયા હતા.

જીવનના સંઘર્ષ અંગેનો એક પ્રસંગ શેર કરતાં જીજ્ઞેશ બારોટે કહ્યું હતું કે એક વખત પ્રોગ્રામમાં વધુ લોકો ન આવતા પ્રોગ્રામ રાત્રે 12 વાગ્યા પૂરો થઈ ગયો હતો. આ સ્થળ તેમના ગામથી બહુ દૂર હતી અને બસ સવારે 6 વાગ્યે જ મળે એમ હતી. આથી તેમણે બસસ્ટેન્ડમાં આખી રાત વિતાવી હતી.

જોકે કેસેટ બાદ ડાયરના કે સ્ટેજ પ્રોગ્રામમાં હજી પણ જીજ્ઞેશ કવિરાજ સંઘર્ષ કરી રહ્યા હતા. તેમને કોઈ સારા સ્ટેજ પ્રોગ્રામમાં ગાવાનો ચાન્સ મળતો નહોતો. તેઓએ કહ્યુ હતું કે શરૂઆતના દિવસોમાં હું જયારે કોઈ મોટા પ્રોગ્રામોમાં જતો ત્યારે મોટા કલાકારોને કહું કે મને એક ગીત ગાવા દો, પણ તેઓ આખી આખી રાત મને બેસાડી રાખતા. આખી આખી રાત બેસાડ્યા પછી પણ તેઓને ગાવા દેવું હોય તો જ મને ગાવા દેતા હતા. એટલું જ નહીં એવું પણ કહેતા કે ગાવું હોય તો મારી ગાડી સાફ કરી દે અને મે એ લોકોની ગાડી પણ સાફ કરી છે.

ધીમે ધીમે જીજ્ઞેશ કવિરાજ પોતાના સૂરથી લોકોમાં જાદુ કર્યો હતો. આજે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે જીજ્ઞેશ કવિરાજને નહીં ઓળખતું હોય. તેને ગાયેલા ગીતો આજે લોકોના હોઠે વસ્યા છે. તેમનું ‘હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી’એ તો લોકોને ક્રેઝી બનાવ્યા હતા.

આજે તેઓ સિંગર કિંજલ દવે, ગીતા રબારી, ગમન સાંથલ ઉપરાંત ડાયરાકિંગ કીર્તિદાન ગઢવી સાથે પણ સ્ટેજ પ્રોગ્રામ કરે છે. જીજ્ઞેશ કવિરાજે ફક્ત ગુજરાત કે ઈન્ડિયામાં જ નહીં વિદેશમાં પણ અને પ્રોગ્રામ કર્યા છે.

જીજ્ઞેશ કવિરાજે સિંગિંગ ઉપરાંત એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું છે. તેમની સિંગિંગ અને એક્ટિંગ સાથે અનેક ગુજરાતી આલ્બમો બહાર પડ્યા છે. યૂટ્યૂબ પર પણ તેમના અનેક સોંગ તરખાટ મચાવ્યો છે. જીજ્ઞેશ બારોટના પરિવારમાં પત્ની એક દીકરી અને એક દીકરો છે.