પહેલીવાર જુઓ રાજકોટના વૈભવી મહેલની અંદરની ખાસ ભવ્ય તસવીરો

રાજકોટ: રાજકોટ શહેરના આંગણે રૂડો અવસર છે. રાજકોટમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાના રાજતિલક અને રાજ્યાભિષેકની વિધી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આગામી ત્રણ દિવસમાં અનેક કાર્યક્રમોનું આયોજન થનાર છે. રાજકોટના પેલેસ રોડ પર રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’ ખાતે તારીખ 28 જાન્યુઆરી, મંગળવારે ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાના રાજ્યાભિષેકનો સમારોહ શરૂ થશે. જેમાં દેશના અનેક રાજવી પરિવારો હાજરી આપશે.

રાજકોટનાં આંગણે અગાઉ ક્યારેય ન થયો હોય એવો ‘રાજસૂય યજ્ઞ’ યોજાશે. રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજાને હવે રાજતિલક કરવામાં આવશે.

રાજકોટ રાજ્ય પરિવારના 17માં રાજવી તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિમાં ગુજરાત સહિત દેશભરના રાજવી પરિવારો તેમજ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે.

આ સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં 28મી જાન્યુઆરી, મંગળવારે યજ્ઞનો આરંભ થશે તેમજ જળયાત્રા તથા નગરયાત્રા નીકળશે. બપોર પછી ક્ષત્રીય દીકરા-દીકરીઓ દ્વારા તલવાર રાસ યોજાશે.

તલવાર રાસ માટે ખાસ નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી છે. જેમાં આ બહેનો અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.

બીજા દિવસે 29મી જાન્યુઆરીએ રાજકોટના સર્વ સમાજ દ્વારા ‘રણજીત વિલાસ પેલેસ’ ખાતે દીપમાળા-દીપ પ્રાગટ્ય યોજાશે. જ્યારે 30 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક થશે.

નોંધનીય છે કે રાજકોટ રાજપરિવારના મોભી અને રાજ્યના ભૂતપૂર્વ નાણાં-આરોગ્ય પ્રધાન મનોહરસિંહ જાડેજાનું ગત વર્ષે નિધન થયું હતું. બાદમાં રાજ પરિવાર દ્વારા માંધાતાસિંહ ઠાકોર સાહેબ તો જાહેર થયા હતા પણ તેમની શાસ્ત્રોક્ત વિધિ બાકી રહી હતી. જે હવે પૂરી કરવામાં આવશે.

નોંધનીય છે કે રાજા રજવાડાના વખતમાં રાજકોટ રાજયનો દરજ્જો ધરાવતુ હતું. આ રાજયની મુળ ગાદી સરધાર હતી. ત્યારબાદ આ ગાદી રાજકોટ સ્થાપવામાં આવી અને રાજકોટના પેલેસ રોડ તરીકે જાણીતા રસ્તા પર આશાપુરા માતાજીના મંદિરની બરોબર સામે રણજીતવિલાસ પેલેસ આકાર પામ્યો હતો.

રાજ્યાભિષેક પહેલાં રામ કથાકાર અને સંત મોરારિબાપુએ રણજિત વિલાસ પેલેસમાં પધારી રાજપરિવાર અને ઠાકોર સાહેબને આશીર્વાદ પાઠવ્યા હતાં.

તિલિકવધિ સમારોહની શરૂઆત પહેલાં માંધાતાસિંહ જાડેજાએ આશાપુરા માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.

માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે આશાપુરા મંદિરની પ્રદિક્ષણા પણ કરી હતી.

‘રણજીત વિલાસ પેલેસ’ મહેલની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી છે. સફેદ રંગનો આ ચકાચોંધ કરી દેનાર મહેલ જોઈને તમારી આંખો પહોંળી થઈ જશે.

‘રણજીત વિલાસ પેલેસ’નો રજવાડી લૂક મન મોહી લે એવો છે. પેલેસમાં વિન્ટેજ કાર્સનો કાફલો છે. આ ઉપરાંત પેલેસમાં ચાંદીની બગ્ગી પણ આવેલી છે.

‘રણજીત વિલાસ પેલેસ’ના ફર્નિચરમાં રોયલ લૂકની છાંટ દેખાય છે. સોફા અને ખુર્શીઓ એકદમ આરામદાયક છે.

જે મહેમાનો પેલેસની મુલાકાત લે છે, તે મહેલની ભવ્યતાના વખાણ કરતાં થાકતાં નથી. મહેલનો લૂક એકદમ રોયલ છે.

આ ઉપરાંત પેલસમાં રજવાડા વખતના શસ્ત્ર સરંજામ પણ છે. આ ઉપરાંત રજવાડી રાચરચીલું પણ મહેલમાં છે.