ગુજરાતની પાયલોટ યુવતીએ પોતાના લગ્નમાં એવી ગિફ્ટ આપી કે મહેમાનો જોતા જ રહી ગયા

કોરોના કાળમાં વચ્ચે ભાવનગરમાં એક યુવતીના લગ્ન યોજાયા. આ દીકરીએ અનોખી પહેલ કરતાં લગ્નમાં આવેલા મહેમાનો પાસેથી ભેટ સ્વીકાર કરવાના બદલે તમામને અનોખી ભેટ આપી. આ ભેટ જોઈ સૌ કોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા.

આ યુવતીનું નામ છે નચિકેતા રાવલ. વન અધિકારી શંકરલાલ રાવલનાં દીકરી નચિકેતા માટે આકાશમાં ઉડાન ભરવાનું અને સૌ કોઈને હવામાં ઉડાડવાનું કાર્ય રોજિંદું છે. કારણ કે નચિકેતા મુસાફર વિમાનોના ચાલક છે. નચિકેતા હાલમાં ચેન્નઈમાં રહીને સ્પાઇસજેટ ઍરલાઇનમાં પાઇલટ તરીકે ફરજ નિભાવી રહ્યાં છે. ચેન્નઈમાં જ પોતાની સાથે વિમાનચાલક તરીકે કામ કરતા બેંગ્લોરના યુવાન કેપ્ટન અનિરુદ્ધ ક્રિષ્ના સાથે તેમણે લગ્ન યોજાયા. પરંતુ લગ્ન સમયે જાનૈયાઓને ભેટ-સોગાદ શું આપવી તેને લઈને પરિવારમાં ચર્ચા થઈ. કોરોના કાળમાં લગ્ન હોવાથી સ્વસ્થ રહેવાના સંદેશ સાથે તેમણે ભેટ આપવાનું નક્કી કર્યું.

નચિકેતાએ પરિવાર સમક્ષ વિચાર રજૂ કરતાં કહ્યું કે, આપણે એવું કંઈક કરવું જોઈએ કે જેથી સમાજને પણ એક ચીલો ચાતરીને સંદેશ આપી શકીએ. આખરે મહેમાનોને અરડૂસીનો રોપો આપવાનું નક્કી થયું. પરિવારે નચિકેતાના પ્રસ્તાવને સ્વીકારીને લગ્નના ત્રણ માસ અગાઉ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં અરડૂસીના રોપાઓનો ઉછેર કરવાનું ઘેર જ શરૂ કર્યું.

લગ્નનું આયોજન કચ્છ-માંડવીના એક રિસોર્ટ ઉપર કરવામાં આવ્યું હતું. 175 જેટલા કુંડામાં અરડૂસીના રોપાઓ તૈયાર કરીને ઉછેરેલા રોપા ભાવનગરથી માંડવીમાં મોકલવામાં આવ્યા. અરડૂસી કફના નિવારક તરીકે આયુર્વેદમાં ઓળખાય છે. કોરોનાના ચેપમાં કફ ફેફસા સુધી પહોંચે છે અને નુકસાન કરે છે. આ કફને દૂર કરવા માટે અરડૂસી એક અકસીર ઇલાજ છે. આ ભેટથી એક સંદેશ ગયો કે નિરામય જીવન માટે આયુર્વેદ જ શ્રેષ્ઠ છે. જ્યારે આ છોડના રોપા મહેમાનોને ભેટ આપવામાં આવ્યા ત્યારે જય ઘોષ થયો કે ‘આયુર્વેદ વિજયી ભવઃ’. આમ આધુનિક સમયમાં પણ આર્યુવેદનું મહત્ત્વ લોકો સમજતાં થયા છે.

નોંધનીય છે કે મૂળ બોટાદના રોહીશાળાના અને ભાવનગર સ્થાયી થયેલા ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત થયલેાં શંકરભાઈ રાવલની ચાર દીકરીઓ આરતી, સ્વાતિ, નીલમ અને નિચિકેતા. શંકરભાઈ રાવલની બીજા નંબરની દીકરી સ્વાતી પણ પાયલોટ છે. તેણે માર્ચ 2020માં આખા દેશનું ઘ્યાન ખેંચ્યું હતું. સ્વાતિએ કોરોના બ્લાસ્ટ થયો ત્ચારે ઈટાલીમાં ફસાયેલા 263 ભારતીયોને એર ઈન્ડિયાની બોઈંગ 778 ફ્લાઈટ ઉડાવી વતન પહોંચાડ્યા હતા.  જેમાં મોટાભાગના સ્ટુડન્ટ હતા. સ્વાતી બાદ હવે નાની દીકરી નિચિકેતાએ લગ્નમાં અનોખો નિર્ણય લઈ સરાહનીય કાર્ય કર્યું છે.