ફેસમ ‘શક્તિમાન’ સીરિયલને રાતોરાત કેમ કરવી પડી બંધ? જાણો કારણ

મુંબઈ: પહેલા બાળકોમાં બહુ જ ફેમસ થયેલી ‘શક્તિમાન’ સીરિયલ બીજી સિઝન વિશે ઘણીવાર ચર્ચાઓ થઈ રહી છે. હાલ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, ટૂંક સમયમાં જ આ સીરિયલની બીજી સિઝન આવી રહી છે. જોકે તાજેતરમાં જ ‘શક્તિમાન’ની ભૂમિકા ભજવનાર મુકેશ ખન્નાએ આ સીરિયલ અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સીરિયલમાં આટલી બધી સફળતા છતાં આખરે આ સીરિયલ કેમ બંધ કરી પડી હતી?

મુકેશ ખન્નાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, શક્તિમાન સીરિયલ પહેલા શનિવારે સવારે અને મંગળવારે સાંજે જોવા મળતી હતી પરંતુ નોન પ્રાઈમ ટાઈમ હોવા છતાં સીરિયલ બહુ જોરદાર ચાલી રહી હતી. જેના માટે દૂરદર્શનને પ્રતિ એપિસોડ 3.80 લાખ રૂપિયા આપવા પડતા હતા. તે જમાનામાં સીરિયલ પ્રાયોજિત રહેતા હતા અને એડ્સ દ્વારા અમારી કમાણી થતી હતી.

તેમણે આગળ કહ્યું હતું કે, સીરિયલની પોપ્યુલારિટી જોતાં દૂરદર્શન તરફથી અમને કહેવામાં આવ્યું હતું કે સીરિયલને રવિવારે પણ પ્રસારિત કરવામાં આવે. રવિવારે બાળકોની રજા હોય છે આવામાં શો માટે પણ સારું છે.

રવિવારે પ્રસારિત થવાને કારણે અમારે દૂરદર્શનને 7.80 લાખ આપવા પડતા હતા. રકમ વધવા પણ અમે શો ચલાવ્યો હતો. ત્યાર બાદ આગામી વર્ષે શોના 104 એપિસોડ થઈ ગયા તો તે દરમિયાન અમને 10.80 લાખ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. કારણ કે એપિસોડ વધ્યા બાદ ફી દોઢ ગણી થઈ જાય છે. આના પર મેં કહ્યું કે, આ તો સફળતા ભોગવવાના પરિણામ છે.

3 લાખથી શરૂ થયેલી રકમ હવે 10 લાખ થઈ ગઈ હતી અને મને ખબર પડી કે, તેઓ આને 16 લાખ કરવાનું વિચારી રહ્યાં છે. મેં આનો વિરોધ કર્યો પણ મારી વાત માનવામાં ન આવી. શોની પોપ્યુલારિટી વધવા છતાં અમને નુકસાન થઈ રહ્યું હતું. મુકેશ ખન્ના અનુસાર તે સીરિયલ બંધ કરવા નહોતા માગતા પરંતુ આવું કરવું તેની મજબૂરી હતી.

તેણે સ્પષ્ટીકરણ કર્યું કે, બાદમાં લોકો કહેતા હતા કે, શક્તિમાનને કારણે બાળકો ઊંચી બિલ્ડીંગો પરથી કૂદી રહ્યાં હતા પણ એવું નહોતું. મુકેશ ખન્નાએ શક્તિમાનની બીજી સીઝન વિશે કહ્યું કે, હું પણ તેના માટે રાહ જોઈ રહ્યો છું અને આશા છે કે આપણે જલ્દી મળીશું.