લગ્ન થઈ ગયા હોવા છતાં પતિએ રાખ્યા આડા સંબંધ, પત્નીએ મોતને વ્હાલ કર્યું

રાજકોટમાં આડાસંબંધમાં એક પરિણીતાએ જીવ દીધાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોઠારીયા સોલવન્ટમાં રહેતી પરિણીતાએ પતિના આડાસંબંધથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના આપઘાતથી બે માસુમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોઠારિયા રેલવે સ્ટેશનની સામે રહેતા રીનાબેન વિજય ખીમજી પરમાર (ઊ. વ 28) એ આજે વહેલી સવારે પતિના અનૈતિક સંબંધથી રોષે ભરાઈને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા અંગે નાના ભાઈ પંકજ અને પતિ ખીમજીને ફોન કરી જાણ કરી હતી.બનાવ અંગેની જાણ થતાં ભાઈ એ ઘરે દોડી જઇ બેશુદ્ધ હાલતમાં પરણિતાને સારવાર અર્થે પ્રથમ મવડીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે મહિલાની સ્થિતિ ગંભીર જણાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.પરતું સિવિલ હોસ્પિટલમાં પરણિતા પહોંચે તે પૂર્વ જ મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

બનાવના પગલે આજીડેમ પોલીસ સ્ટેશનના પી આઇ વી.જે ચાવડા, રાઈટર સહિતના સ્ટાફે સિવિલ દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. કોળી પરણિતાના આપઘાત અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક રીનાબેનના નાના ભાઈ પંકજ ડાભીનાં જણાવ્યા અનુસાર એક વર્ષ પહેલા પણ બહેન રીસામણે આવી હતી. સાતમ આઠમ નિમિત્તે માવતરે જવા બાબતે પણ ઝઘડો થયો હતો. ખીમજીને અન્ય સ્ત્રી સાથે પણ સબંધ હોવાથી અવાર નવાર ઝગડા ચાલતા હતા.આજે સવારે બહેન ઝેરી દવા પીધા બાદ પણ સાસરિયાં પક્ષના લોકો સમયસર સારવાર અર્થે પણ લઈ ન ગયા હોવાનું જણાવતા આજીડેમ પોલીસે તપાસનો ધમધાટ શરૂ કર્યો છે.

મૃતક પરણીતાને સંતાનમાં એક દિકરો છે અને એક દિકરી છે. પરણીતાના પાંચ વર્ષ પહેલા વિજય પરમાર સાથે લગ્ન થયા હતા. પતિ ડ્રાઇવીંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. એક વર્ષ પૂર્વે પણ દંપતી વચ્ચે ઝઘડો થતા પરણિતા માવતર ચાલી આવી હતી અને 15 દિવસનું ટુકુ રોકાણ કર્યુ હતું. માં-બાપની સમજાવટ બાદ પુત્રી સાસરીએ ચાલી ગઇ હતી. પરંતુ પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અંતે આત્મધાતી પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ તપાસમાં પણ ખુલવા પામ્યું છે.