સુરતમાં નવપરણિતાએ આપઘાત કરી ટૂંકાવ્યુ જીવન, હજી તો લગ્નને 27 દિવસ પણ નહોતા થયા

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરમાં ફિઝિયોથેરાપિસ્ટ નવપરિણીતાએ આપઘાત કરી લીધો છે. આ યુવતીનાં 27 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતક હેમાંગી પટેલ મંગળવારે બપોરે નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જે બાદ બીજા દિવસે બુધવારે પાલનપુર પાટિયાની ફિઝોયોથેરાપિસ્ટની હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી લાશ મળી આવી હતી.

નદીમાંથી મળી લાશ
આ અંગે પરિવારે રાંદેર પોલીસમાં યુવતી ગુમ થયાની ફરિયાદ આપી હતી. જે બાદ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, 27 દિવસ પહેલા જ પરણેલી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.

પાલનપુર પાટિયામાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષની હેમાંગીબેન ડેરીકભાઈ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતા. આ યુવતીનાં 27 દિવસ પહેલાં જ ઓનલાઈનના વ્યવસાય કરતા ડેરીકભાઈ સાથે લગ્ન થયા હતા. આ બધાની વચ્ચે બુધવારે સવારે હેમાંગીબેનની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી આવી હતી.

આપઘાત પાછળનું કારણ અકબંધ
બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અંગેની જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેરમાં ખસેડયો હતો. યુવતીનાં આપઘાત પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. યુવતીનાં પિયર તરફથી પણ આ અંગે કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.

છેલ્લે પતિ સાથે થઇ હતી વાત
ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતી હેમાંગીબેન મંગળવારે બપોરે નોકરી પરથી ઘરે આવી હતી. યુવતી પતિ સાથે વાત કરીને ટુવ્હીલર લઈ ફરી નોકરીએ નીકળી ગઈ હતી. જોકે, બપોર બાદ ક્લિનિકના ડોક્ટરે ડેરીકભાઈને ફોન કરીને જણાવ્યું કે, હેમાંગી ક્લિનિક આવી નથી.

ત્યારબાદ પતિએ ભરીમાતા રોડ સ્થિત યુવતીનાં પિયરમાં ફોન કર્યો હતો. પરંતુ હેમાંગી ત્યાં પણ ન હતી. જે બાદ પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આખરે રાત્રે દસેક વાગે રાંદેર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી.