ઈન્જેક્શન ન મળ્યું તો બાળકી 13 મહિનાથી વધુ નહીં જીવી શકે, મોદીએ 6 કરોડ ટેક્સ માફ કર્યો

મુંબઈ: પાંચ મહિનાની દીકરી તીરા કામત મુંબઈની એક હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી છે. આ દીકરીનો જીવ બચાવવા માટે તેને 16 કરોડ રૂપિયાનું દુનિયાનું સૌથી મોંઘુ ઈન્જેક્શન લગાવવાનું છે. તેના પર અંદાજે 6 કરોડ રૂપિયાનો ટેક્સ અલગથી આપવાનો હોય છે. જે મળીને ઈન્જેક્શનની કુલ કિંમત 22 કરોડ રૂપિયા થાય છે.  ઈન્જેક્શન પર લાગતો 6 કરોડ રૂપિયાનો ટેક્સ પીએમ મોદીએ માફ કર્યો છે. જ્યારે દીકરી તીરા કામતના માતા-પિતાએ  સોશ્યલ મીડિયાથી 16 કરોડ રૂપિયા એકઠાં કરી લીધા છે. ઈન્જેક્શન ન લાગે તો બાળકી માંડ 13 મહિના વધુ જીવી શકે છે.

તીરા કામત નામની આ દીકરીનો ઈલાજ હાલ મુંબઈની એક હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. તીરા કામત SMA Type 1 બીમારીનો સામનો કરી રહી છે. એક્સપર્ટનું કહેવું છે કે આ બીમારીના કારણે ઈન્જેક્શન નહીં લાગવાથી બાળકી ફક્ત 18 મહિના જ જીવી શકે છે.

બાળકી માટે અમેરિકાથી ખાસ Zolgensma ઈન્જેક્શન મંગાવવામાં આવી રહ્યું છે. આ ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના પર 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવાના હોય છે. જોકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર PM નરેન્દ્ર મોદીએ ટેક્સ માફ કરી દીધો છે.

તીરા કામતને ગત્ 13 જાન્યુઆરીએ મુંબઈના એસઆરસીસી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના એક ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યાર પછી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. તીરાને સ્પાઈનલ મસ્ક્યૂર અટ્રોફી(SMA) બીમારી છે, જેમાં શરીરમાં પ્રોટીન બનાવનાર જીન નથી હોતા. જેનાથી માંસપેશીઓ અને તંત્રિકાઓ(Nerves) સમાપ્ત થવા લાગે છે. મગજની માંસપેશીઓની એક્ટિવિટી પણ ઓછી થવા લાગે છે. એટલા માટે શ્વાસ લેવા અને ભોજન ચાવવા સુધીમાં તકલીફ પડવા લાગે છે. SMA ઘણા પ્રકારના હોય છે, પણ તેમાં Type 1 સૌથી ગંભીર છે.

આ બીમારીનો સચોટ ઈલાજ Zolgensma ઈન્જેક્શન છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા હોવાથી સામાન્ય માણસ માટે એને ખરીદવું શક્ય નથી. તીરાના પરિવાર માટે પણ આ મુશ્કેલી સામે ઊભી હતી. તેના પિતા મિહિર IT કંપનીમાં જોબ કરે છે. માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઈલેસ્ટ્રેટર છે.

દંપતીએ સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને આની પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરી દીધું. અહીં સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યારસુધી લગભગ 16 કરોડ રૂપિયા ભેગા થઈ ચૂક્યા છે. હવે આશા છે કે ઝડપથી ઈન્જેક્શન ખરીદી જઈ શકશે.

તીરાના પિતા મિહિરે જણાવ્યું હતું કે તીરાનો જન્મ હોસ્પિટલમાં જ થયો હતો. તે ઘરે આવી ત્યારે બધું બરાબર હતું, પણ ઝડપથી સ્થિતિ બદલવા લાગી. માતાનું દૂધ પીતી વખતે તીરાનો શ્વાસ રુંધાવા લાગતો હતો. શરીરમાં પાણીની અછત થવા લાગતી હતી. એક વખત તો અમુક સેકન્ડ માટે તેના શ્વાસ રોકાઈ ગયા હતા. પોલિયો વેક્સિન પીવડાતી વખતે પણ તેના શ્વાસ અટકી જતા હતા.