સિદ્ધાર્થ શુક્લાને લઈ અભિનેતા સમીર સોનીએ કરી ચોંકાવનારી વાત

નવી દિલ્હીઃ બિગબોસ-14ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના હૃદયરોગના હુમલાથી નિધનના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. આ અંગે અભિનેતા સમીર સોનીએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ પોતાના સ્ટ્રેસ અને ફિટનેસને લઈને ઘણો ચિંતિત હતો. તેમણે આ ઉપરાંત યુવાનોમાં તનાવ અને તેમને હાર્ટ એટેક આવવો કે આત્મહત્યા કરવી તેના ચલણ અંગે વાતચીત કરી.

સમીરે જણાવ્યું હતું કે લોકોમાં સારુ અને ફિટ દેખાવવા માટેનું પ્રેશર હોય છે. ઉદ્યોગમાં બહારથી જે ઝાકઝમાળ લાગે છે તેવું હોતું નથી. તમારે માનસિક રીતે પણ ફિટ રહેવું પડે છે. સારી ઊંઘ લેવી પડે છે જેથી તમારો ચહેરો સારો લાગે અને તેના લીધે તમને કામ મળી શકે.

બધા પર સારા દેખાવવાનું દબાણ હોય છે. તેમા પણ ખાસ કરીને યુવા કલાકારો પર વધારે હોય છે. તેથી જ હું યુવાનો અને બાળકો આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બને તેને યોગ્ય માનતો નથી. સિક્સ પેક અને બોડી ફિટ બનાવવાની બાબત બીજા પર ખરાબ અસર નાખે છે.

માનવામાં આવે છે કે સિદ્ધાર્થ શુક્લા દર બે મહિને તેમના વર્કઆઉટ અને બોડીમાં ફેરફાર કરતા હતા. તે પોતાના શરીરને વધુને વધુ ફિટ રાખવા વર્કઆઉટ કરતા હતા. તેની ખરાબ અસર તેમના આરોગ્ય પર પડી હતી. તેમની ડાયેટ અને સ્ટ્રેસ અંગે પણ વાતચીત કરવામાં આવી રહી છે. જો કે રાહુલ મહાજનનું કહેવું છે કે સિદ્ધાર્થ એકદમ ચુસ્ત અને ફિટ હતો.