સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં પુત્રએ કર્યું શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન, જુઓ તસવીરો

દરેક ધનવાન પિતા પોતાના દીકરાને વારસામાં સંપત્તિ આપીને જાય છે પરંતુ સૌરાષ્ટ્રના સાવજ તરીકેની ગણના પામનાર અને ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાએ પોતાના દિકરાને વારસામાં સંપત્તિની સાથોસાથ માનવ સેવાનું મહામૂલ્ય કાર્ય આપ્યું છે. ગઈકાલે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડીયા દ્વારા સાતમા શાહી સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લગ્નનું શીર્ષક લાગણીના વાવેતર રાખવામાં આવ્યું હતું.

આ શાહી લગ્નોત્સવમાં લેઉવા પટેલ સમાજની 165 દિકરીઓ પ્રભુતામાં પગલા પાડયા હતા. વૈભવી લગ્નોને પણ ઝાંખા પાડે તેવું શાહી આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણામાં સમાજ માટે શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કાર્યો કરીને અનેકવિધ ‘નામો’ મેળવનારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાએ જ સમૂહ લગ્ન યોજવાની પહેલ કરી હતી.

સમાજની જરૂરિયાતમંદ દિકરીઓ-પરિવારને ખર્ચમાંથી બચાવવાની સાથોસાથ તમામ ઘરવખરી આપવા સહિતનો ઉદેશ હતો. સ્વ. વિઠ્ઠલભાઈની હાજરીમાં ભૂતકાળમાં એક વખત 221 યુગલોના સમૂહલગ્ન કરાયા હતા. જયેશભાઈ રાદડીયા પણ પિતાના માર્ગે આગળ વધતા રહીને સામાજીક કાર્યોમાં અગ્રેસર રહ્યા છે.

આ શાહી લગ્નોત્સવ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહ્યા. જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા જામકંડોરણાના લડાયક ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં સાતમાં શાહી સમુહ લગ્નોત્સવ લાગણીના વાવેતરનું જામકંડોરણા ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલું હતું.

આ શાહી લગ્નઉત્સવમાં લેઉવા પટેલ સમાજના રાજકીય-સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તેમજ વેપાર-ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત એકલાખ લોકોની હાજરીમાં 165 યુગલ લગ્નજીવનના પંથે પ્રયાણ કરનાર નવદંપતીના આશીર્વાદ પાઠવ્યા હતા.

આ સમુહ લગ્નમાં જોડાનાર દરેક દિકરીને પાનેતરથી માંડી ઘરવખરીના તમામ સરસામાનની કુલ 123 ચીજ વસ્તુ ઉપરાંત શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતાજી તથા સાવજનું કાળજું પુસ્તક કરિયાવરમાં અર્પણ કરવામાં આવશે. જેમાં સોનાના દાણા બે નંગ, ફ્રીઝ, ડબલબેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શુટ, વરરાજાના બૂટ, પાનેતર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

સમુહગ્નમાં 165 વરરાજાના વરઘોડા એક સાથે નીકળ્યા હતા. આ વરઘોડામાં 25 વિન્ટેજ કાર, 50 ખુલ્લી જીપ્સી, વરરાજાઓની મોટર કાર્સનો કાફલો ઉપરાંત ઘોડા જોડાયા તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલી મંડળીઓ અને બેન્ડવાજાના ગ્રૂપ પણ જોડયા હતા. એક કલાક સુધી જામકંડોરણાના મુખ્ય હાઈ-વે ઉપર વરઘોડો ફર્યા બાદ લગ્નમંડપ સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ વિધી અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા.

શાહી સમુહ લગ્નોત્સવના આયોજક જયેશભાઈ રાદડિયા હતા આ સાતમાં સમુહ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 165 વર-કન્યાના નામ નોંધાયા હતા. સમાજના દાતાઓના સહકારથી દર વખતની માફક આ વખતે પણ ભવ્ય રીતે આ સમુહ લગ્નોત્સવ યોજાયો સમારોહના અધ્યક્ષ સ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ ઉપસ્થિત રહ્યા.

165 યુગલોના સમુહ લગ્નો હોય એટલે વર-કન્યા પક્ષમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાનું સ્વાભાવિક છે. ઘણા કિસ્સામાં ચોકકસ સંખ્યાની મર્યાદા મુકીને પાસ ઈસ્યુ કરવામાં આવતા હોય છે.

પરંતુ જામકંડોરણા ખાતેના સમૂહ લગ્નોત્સવમાં જાનૈયા-માંડવીયાના પક્ષમાં ગમે તેટલા લોકોને સામેલ કરવાની છુટ્ટ છે. એક લાખથી વધુ લોકોના ભોજનની વ્યવસ્થા કરાઈ છે અને આ માટે 4000 સ્વયંસેવકોની ફૌજ ખડેપગે રહ્યા હતા.