જામનગરમાં દેહવ્યાપારનો પર્દાફાશ, શરીર સુખ માણવા આવેલા પુરુષો પણ ઝડપાયા

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી યોગેશ્વરદામ સોસાયટીના એક રહેણાક મકાનમાંથી પોલીસે મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપી પાડતાં ચકચાર મચી છે. પોલીસે દરોડો પાડી ઘટનાસ્થળ પરથી બે મહિલા સંચાલક અને બે ગ્રાહક સહિત કુલ ચારની અટકાયત કરી છે. પોલીસે દેહવ્યાપારમાં સામેલ બે યુવતીને મુક્ત કરાવી સાહેદ બનાવી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી નબીરા ઉર્ફે નગરગીસ અને ગુલઝાર ઉર્ફે પૂજા નામની મહિલાઓ જામનગરની અને મહારાષ્ટ્રની યુવતીઓને હાજર રખાવી તેમની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતી હોવાની પોલીસને માહિતી મળી હતી.

પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક ડમી ગ્રાહકને મોકલતાં તેની પાસેથી 1000 રૂપિયા વસૂલી દેહવ્યાપાર માટે વ્યવસ્થા કરવાની તૈયારી બતાવવામાં આવતાં પોલીસે કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે બે મહિલા સંચાલિકા ઉપરાંત શરીરસુખ માણવા આવેલા બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે યુવતીને મુક્ત કરાવી સાહેદ બનાવી હતી.

પોલીસે ઘટનાસ્થળ પરથી ગુલઝાર ઉર્ફે પૂજા તેમજ નબીરા ઉર્ફે નરગીસ નામની બે મહિલા ઉપરાંત તેમાં મદદગારી કરનાર દેવભૂમિ દ્વારકાના સબીર રઝાકભાઈ બુખારી અને નદીમ ઇશાકભાઇ જુણેજા વગેરે ચારની અટકાયત કરી લેવામાં આવી હતી.

પોલીસે મહિલા સંચાલિકાના મોબાઈલ ફોનને તપાસતાં એમાંથી ગ્રાહકોને વ્હોટ્સએપ મારફત લલનાઓના ફોટોઝ મોકલાતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોબાઈલ ચેટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.