સબમરીનમાં મહિનાઓ પસાર કરવા છે મુશ્કેલ, પાણીની અંદર ઈન્ડિયન નેવીના જાબાંઝ કેવી રીતે જીવે છે?

અમદાવાદઃ ભારતીય જવાનો જમીન, આકાશ તથા પાણીમાં પોતાના સાહસનો પરચો આપી ચૂક્યા છે. ભારતીય નેવીમાં અનેક જહાજ તથા સબમરીન સામેલ છે, જેમાં દુશ્મનોનો છાતીના પાટિયા બેસી જાય છે. જો સબમરીનની વાત કરીએ તો ભારતની પાસે સપ્ટેમ્બર 2019 સુધી એક ન્યૂક્લિયર પાવરથી સજ્જ સબરમીન હતી.

આ ઉપરાંત એક બેલિસ્ટિક મિસાઈલ સબમરીન તથા 15 અન્ય સબમરીન છે. આની અંદર બેસીને ભારતીય જવાનો દુશ્મનો પર પાણીની અંદરથી હુમલો કરી શકે છે. આજે આપણે જોઈશું કે પાણીની અંદર ભારતીય જવાનો કેવું જીવન જીવતા હોય છે.

ભારતીય નેવી દુનિયાની સૌથી પાંચમી મોટી નેવી છે. આપણી નેવીમાં અંદાજે 55 હજાર સૈનિકો છે. એક નેવી અધિકારીનું જીવન ઘણું જ મુશ્કેલભર્યું હોય છે. દૂરથી આપણને તેમનું જીવન એકદમ સરળ લાગે છે પરંતુ તેમણે મહિનાઓના મહિનાઓ સબમરીનમાં વીતાવવા પડે છે.

એક સબમરીનમાં 100થી વધુ અધિકારી તથા સેલર મહિનાઓના મહિનાઓ રહે છે. તેઓ પરિવાર સાથે કનેક્ટેડ હોતા નથી. INS સિંધુકીર્તિ ઈન્ડિયન કિલો ક્લાસ સબમરીનમાં આવે છે, જે ભારતની સૌથી જૂની સબમરીનમાં સામેલ છે. આ સબમરીન સોનાર રેડિયેશનને આધારે કામ કરે છે. તેમને અનેક મિશન આપવામાં આવે છે અને આ મિશન પૂરા કર્યાં બાદ જ ટીમ પરત ફરે છે.

સેલર્સ સબમરીનની નાનકડી જગ્યામાં સૂએ છે. ઓછી સ્પેસમાં અંદાજે પાંચથી છ લોકો હોય છે. જગ્યા નાની હોવાથી પલંગ પણ એ જ રીતે બનેલા હોય છે.


સબમરીનમાં હેવી બેટરી હોય છે અને આ બેટરીને આધારે સબમરીન પાણીમાં મહિનાઓ પસાર કરી શકે છે. કંટ્રોલ રૂમમાંથી સબમરીનની તમામ એક્ટિવિટી પર નજર રાખી શકાય છે.

એન્જિન કંટ્રોલ કરવા માટે શિફ્ટ બનાવવામાં આવી હોય છે. તમામને બરોબરનો આરામ આપવામાં આવે છે. એકવાર મિશન પૂરું થઈ જાય પછી જ અધિકારી પોતાના ઘરે પરત ફરી શકે છે.

આમ તો સબમરીન પાણીની અંદર જ હોય છે પરંતુ 24 કલાકમાં એકવાર તેને પાણીની ઉપર લાવવામાં આવે છે, જેથી અંદરની હવાને ફ્રેશ એર સાથે રિપ્લેસ કરી શકાય.