ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, વરસાદની આગાહીને લઈ ખેડૂતો ટેન્શનમાં મુકાયા

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડી પડી રહી છે જોકે એકાદ દિવસથી ગુજરાતના ઘણાં વિસ્તારના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રએ જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે.

આ સાથે જ ખેડૂતોને પણ પોતાનો માલ સાચવવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં પણ માલ-સામાન બગડે નહીં તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને લઇને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને ખેતરમાં રાખેલા પશુઓના ઘાસચારાને તાડપત્રીથી ઢાંકી રક્ષણ આપવા પ્રયત્નો કરી રહ્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 2થી 5 જાન્યુઆરીએ બીજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. જે આ ટ્રફને વધુ મજબૂત બનાવતાં ગુજરાતના અનેક જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 2 જાન્યુઆરીએ સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, અરવલ્લી, દાહોદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે 3 જાન્યુઆરીએ પંચમહાલ, વડોદરા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવો વરસાદ પડે તેની શક્યતા છે.

ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કોલ્ડવેવ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહીને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષે એટલે 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાહી પ્રમાણે, પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે. ઉત્તર ગુજરાતના APMC, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરવામાં આવી છે.

આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

આગામી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દાહોદમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું છે. કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટું નુકશાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આજે પવનની દિશી બદલાતાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું તાપમાન ઉચકાયું છે.

નોંધનીય છે કે, રાજ્યના ઘણાં શહેરોમાં કડકડતી ઠંડી પડી હતી જેમાં સૌથી નીચું તાપમાન નલિયાનું 2.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઘણી જગ્યાએ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘટાડો થયો હતો. માઉન્ટ આબુમાં માઈનસ ડિગ્રીમાં ઠંડી પડી રહી છે. જેના કારણે આબુની નજીકના વિસ્તારો એવા બનાસકાંઠા અને સાબરકાંઠાના ઘણાં વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ હોય તેવું પણ જાણવા મળ્યું હતું.