આ મહિલાને ત્રણ વખત કરડી ચૂક્યો છે એક જ સાપ, ગભરાઈ ગયો પરિવાર પછી…

જયપુરઃ રાજસ્થાનના ભરતપુરમાં અંધવિશ્વાસનું ભૂત એક મહિલા પર ઘણું હાવી થયેલું જોવા મળી રહ્યું છે. અહીં એક 22 વર્ષીય મહિલાને ત્રણ વખત સાપે ડંખ માર્યો અને તે પછી પરિવારજનોએ 8 તાંત્રિક ઘરે બોલાવ્યા જેમણે સંપૂર્ણ રાત મંત્રજાપ કર્યા. આ ઘટના મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી સંજય નગર કોલોનીની છે. જ્યાં 22 વર્ષીય સપના દેવીને એક સાપ 3 વાર કરડી ચૂક્યો છે. ગુરુવારે પણ સાપે સપના દેવીને ડંખ માર્યો અને તે પછી પરિવારજનો મહિલાને જીલ્લા આરબીએમ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સાપના ડંખનો કોઈ નિશાન શરીર પર જોવા મળ્યો નહોતો.

હોસ્પિટલમાં ડંખના નિશાન ના મળ્યા બાદ સપનાના પરિવારજનો તેને ઘરે લઈ આવ્યા અને ઉત્તર પ્રદેશથી સાપના ડંખની સારવાર કરતા 8 તાંત્રિકોને બોલાવ્યા અને કાળા જાદૂના નામે મંત્રોચ્ચાર કરાવ્યો. આ સમયે તાંત્રિકોએ સૌને પોતાના મોબાઈલ બંધ કરી દેવા સૂચના આપી હતી અને કોઈને વીડિયો-ફોટો ના લેવા જાણ કરી હતી. જોકે છતાં કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.

પીડિતા સપના દેવીએ કહ્યું કે, તેને એક સાપ ત્રણ વાર કરડી ચૂક્યો છે પરંતુ સાપ કરડ્યા બાદ ગાયબ થઈ જાય છે. સાપ કરડે પછી પીડિતાને તેની જાણ થઈ જાય છે. એક જ સાપ જે સતત 3 વાર તેને કરડી ચૂક્યો છે છતાં તેનો જીવ બચી ગયો તેને સપના ભાગ્યશાળી હોવાનું ગણાવે છે.

સાપના કરડ્યા બાદ ના તો સાપ દેખાય છે ના તો તેના કરડ્યા હોવાનું નિશાન મહિલાના શરીર પર રહે છે. પરંતુ પીડિતાને સાપ કરડ્યા અંગે ખબર પડી જ જાય છે. સાપના ડંખની સારવાર કરવા અને ફરી સાપ કરડે નહીં તે માટે તાંત્રિકોને બોલાવવામાં આવ્યા હતા.

તાંત્રિકોએ મંત્રોચ્ચારને સમાધાન બતાવતા પરિવારે આ વિકલ્પ પણ આજમાવી લેવા માટે વાત કરી હતી. તાંત્રિકોએ આખી રાત મંત્રોચ્ચાર કર્યા બાદ મહિલાને થોડા સમય બાદ ગંગા સ્નાન કરવાની વાત કહી હતી અને આ સાથે સારવાર પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે કોલોનીમાં તાંત્રિકોની હાજરીથી લોકોની ભીડ જામી હતી.

મહિલાની સારવાર કરવા આવેલા તાંત્રિકોએ જણાવ્યું કે, મહિલા અને સાપ ગત જન્મમાં સાથે હતા. જોકે તે જન્મમાં મહિલાએ સાપને દગો આપ્યો હતો. જેથી મહિલાનો પુનર્જન્મ થયા બાદ હવે સાપ તેનો બદલો લઈ રહ્યો છે.

તાંત્રિકોએ સાથે દાવો કર્યો કે, મંત્રોચ્ચાર દરમિયાન મહિલાના શરીરમાં સાપ આવ્યો હતો અને મહિલા ઘણા સમય સુધી ધૂણતી રહી હતી. જોકે ઘણા સમય સુધી ચાલેલા મંત્રોચ્ચાર બાદ મહિલાનું શરીર શાંત થયું હતું. હવે સાપ મહિલાને ક્યારેય પરેશાન કરશે નહીં તેવો તેમણે દાવો કર્યો હતો.