રામ સેવકોને જોઈને વૃદ્ધા ઝૂંપડામાં બહાર આવ્યા, કહ્યું -‘આવો..શબરીની જેમ તમારી રાહ જોતી હતી’

તમે ભગવાન શ્રી રામ અને શબરીની વાર્તા તો સાંભળી હશે. પણ અમે આજે તેમને કળિયુગની શબરીની વાત કરવા જઈ રહ્યા છીએ. અયોધ્યામાં બની રહેલા વિશાળ રામ મંદિર માટે કચ્છભરમાંથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે, જેમાં પૈસાદાર લોકોએ હજારોથી લાખો રૂપિયાનું છૂટા હાથે દાન આપી રહ્યા છે. ધનાઢ્ય લોકો દાન આપે તે સમજી શકાય તેમ છે. પણ ભુજની ભાગોળે હરિપરમાં રહેતા એક ગરીબ પરિવારે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે ભગવાનના મંદિર માટે દાન આપતાં ઝૂંપડે પહોંચેલા રામસેવકો ગદગદ થઇ ગયા હતા. ફાળો લેવા આવેલા સ્વયંસેવકોને આવકારતાં એક વૃદ્ધાએ કહ્યું હતું કે, શબરીની જેમ હું તમારી રાહ જોતી હતી. આ વાક્ય સાંભળતા જ રામાયણ સમયની યાદો તાજી થઈ હતી.

ગુજરાત અખબાર દિવ્ય ભાસ્કરમાં હાલમાં પ્રસિદ્ઘ થયેલા એક અહેવાલ મુજબ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. દરેક લોકો આ ભગીરથ કાર્ય માટે યથાશક્તિ ફાળો આપી રહ્યા છે. કચ્છમાં પણ રામભક્તો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. હરીપર ગામમાં સ્વયં સેવકો ઘરે-ઘરે ફરીને રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કરી રહ્યા છે. હાલની જ વાત છે જ્યારે સાંજ પડતાં ટીમમાંથી એક સભ્યએ અન્ય સભ્યોને કહ્યું હતું કે ગામના તમામ ઘરનો સમાવેશ થઈ ગયો છે. પણ છેવાડે એક મસ્જિદની બાજુમાં બે ઝુંપડા બાકી રહ્યા છે. આપણે ત્યાં જવું જોઈએ. આમ કહેતા જ બધા તે તરફ આગળ વધ્યા. ત્યાં પહોંચીને જય શ્રી રામ કહેતાની સાથે જ એક વયોવૃદ્ધ મહિલા જય શ્રી રામ બોલ્યા અને કહ્યું કે, જેમ શબરી ભગવાન રામની રાહ જોતા હતા એવી રીતે હું પણ રામ ભક્તોની રાહ જોઈ રહી હતી.

આયશાબેન નામના આ વૃદ્ધાને રામમંદિર નિર્માણ અંગેની વિગતે વાત કરી ત્યારે એમના ચહેરા પર ચમક આવી ગઇ અને ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. તેમણે કહ્યું કે, અમારા ઘર સુધી કોઈ મંદિર માટે દાન લેવા માટે આવ્યા હોય તેવા તમો પહેલા છો. જો કે અમને આનંદ એ વાતનો છે કે તમે અમને તમારા માન્યા છે તેમ કહીને જાણે ધન્યતાની લાગણી અનુભવી હતી. હિન્દુ ધર્મ વિશે આટલા જાણકાર છો તો પછી આ ઈસ્લામિક નામ કેમ? તેવું જ્યારે રામ સેવકોએ પૂછ્યું તો મહિલાએ કહ્યું કે, પૂર્વજોએ ભૂલ કરી છે એમનો અમને રંજ છે.

કેટલીક સામાન્ય ચર્ચા વૃદ્ધાએ નિધિ લખાવવા જણાવાયું તો તેમના ઘરમાં જેટલા સભ્યો હતા એ રઘુ જુસબ કોલી, વાલજી જુસબ કોલી, કલ્પેશ ઈબ્રાહિમ કોલી, આયશા ઈબ્રાહિમ કોલી એમ બધાના નામે જણદીઠ 200 રૂપિયા લખાવ્યા.

ગરીબ કોલી પરિવારે રામભક્તિરૂપે જણદીઠ નામ લખાવીને 800 રૂપિયાનો ફાળો આપ્યો. તે સમયે રામ સેવકોએ તેમને પૂછાયું કે ઘર એક છે તો એક સાથે જ દાન લખાવો! તો એમનો જવાબ પણ નવાઈ પમાડે તેવો હતો. તેમણે કહ્યું કે અમે તો તમારી સાથે આજ દિન સુધી ન જોડાઇ શક્યા. પરંતુ બાળકોનો નાતો હિન્દુ ધર્મ સાથે જોડાયેલો રહે અને ભગવાન રામ પ્રત્યે એમનો ભાવ જોડાય એ મહત્વનું છે. વૃદ્ધ મહિલાના શબ્દો સાંભળી નિધિ એકત્ર કરવા નીકળેલા સ્વયંસેવકોના દિલને સ્પર્શી ગયા અને તેમની રામભક્તિને સલામ કરી.