ગુજરાતના આ યુનિક ગામમાં લોકો વિદેશની ધરતી પર જઈને છાપે છે ઢગલાબંધ ડોલર!

આણંદ: માત્ર 17 હેક્ટરના ક્ષેત્રફળમાં વસેલાં અને 12000ની વસતિ ધરાવતાં ગામમાં નેશનલાઈઝ, પ્રાઈવેટ અને કો.ઓપરેટિવ સહિતની 15 જેટલી બેંકોની શાખાઓ ગુજરાતના આ યુનિક ગામમાં ધમધમી રહી છે. આ યુનિક ગામમાં લોન લેનારાઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધારે છે. જોકે ઈન્વેસ્ટર્સનું ગામ એટલે પેરિસ તરીકે ઓળખાતું આણંદનું ધર્મજ ગામ. દુનિયાનો કોઈ દેશ એવો નહીં હોય જ્યાં ધર્મજનો વતની ન વસતો હોય. વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારો દ્વારા બેંકમાં મુકવામાં આવતી ડિપોઝીટના કારણે બેંકિગ ક્ષેત્રમાં ધર્મજ બિઝનેસ સેન્ટર બન્યું છે.

ધર્મજમાં બેંકિગ ક્ષેત્રનો વિકાસ પણ ઘણો જૂનો છે. વર્ષ 1959માં 18મી ડિસેમ્બરના રોજ દેના બેંકની ગામમાં સૌપ્રથમ શાખા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1969માં સહકારી બેંક શરૂ કરવામાં આવી હતી. તેની સાથે બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ કરવામાં આવી હતી. જોકે હાલ ગામમાં 15 જેટલીઓ બેંકની શાખાઓ ધમધમે છે. જેની પાછળનું મુખ્ય કારણ બેંક ડિપોઝીટને માનવામાં આવે છે.

ધર્મજમાંથી વર્ષ 1895થી 1916ના ગાળામાં વિદેશગમનની શરૂઆત થઈ હતી. મોટાભાગના લોકો આફ્રિકામાં સ્થાયી થયા હતા. જેઓને વર્ષ 1968માં આફ્રિકાની સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ઘર-મિલકત તમામ વસ્તુઓ છોડીને પહેરેલાં વસ્ત્રોમાં ઈંગ્લેન્ડ સ્થળાંતર કરવાની ફરડ પડી હતી.

આફ્રિકામાં જહોજલાલીમાં રહેલાં લોકોને ઇંગ્લેન્ડના કેમ્પમાં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારોએ વતનમાં થોડીઘણી બચત કરવા પ્રેરાયાં હતાં. ધર્મજ આવે એટલે સ્થાનિક બેંકમાં અમુક રકમની ડિપોઝીટ કરીને જવાનો એક ટ્રેન્ડ શરૂ થયો. વિદેશના જુદાં જુદાં દેશોમાં ધર્મજના 3100 ઉપરાંત પરિવારો સ્થાયી થયેલાં છે. જેમાંથી 1500થી 2000 ધર્મજિયન્સ દર વર્ષે વતન આવે છે. એનઆરઆઇ અને સ્થાનિક સુખી, સમૃદ્ધ પરિવારો દ્વારા બચતનું બેંકમાં થતું મોટાપાયે રોકાણના કારણે ઇન્વેસ્ટર્સનું ગામ બની રહ્યું છે.

વસતિ 11 હજાર, બેંકો લાગી છે લાઈનો
દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ), અલ્હાબાદ બેંક, કેનેરા બેંક, આઇસીઆઇસીઆઇ, ઇન્ડસઇન્ડ બેંક,
એચડીએફસી બેંક, પંજાબ નેશનલ બેંક, કોર્પોરેશન બેંક અને ધી ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંક લિ. સહિત 15 બેંકો ધમધમે છે.

ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ
ધર્મજના અગ્રણી રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં વસતાં પરિવારોની સરખામણીમાં વિદેશમાં સ્થાયી થયેલાં ધર્મજના પરિવારોની સંખ્યા વધુ છે. ગામમાં 2770 પરિવારો વસે છે અને વસતિ 11,333 છે. જેની સરખામણીમાં યુ.કે.માં 1700, યુએસએમાં 700, ઓસ્ટ્રેલિયામાં 300, ન્યુઝીલેન્ડમાં 50, આફ્રિકામાં 150 અને કેનેડામાં 200 ઉપરાંત ધર્મજનાં પરિવારો સ્થાયી થયેલાં છે. વિદેશમાં સ્થાયી પરિવારોમાંથી દર વર્ષે 1500થી 2000 ધર્મજિયનો વતન આવે છે. આ આંકડા જૂના છે.

વતનમાં પણ થોડું રોકાણ જરૂરી
વિદેશમાં સ્થાયી થયાં હોવા છતાં વતનમાં પણ થોડી ઘણી મૂડી અને રોકાણ કરવું જરૂરી હોય છે. આ ઉપરાંત વિદેશ કરતાં ભારતની બેંકના વ્યાજ દર થોડાં ઊંચા હોય છે. જેથી ધર્મજ આવીએ ત્યારે સ્થાનિક બેંકમાં થોડી ઘણી બચતનું રોકાણ કરીને જઈએ છીએ.’ – સંધ્યાબહેન પટેલ, ધમર્જિયન, હાલ કેનેડા

બિઝનેસ સેન્ટર બન્યું
‘એનઆરઆઇ ગામ છે, જેથી બેંકિગ ક્ષેત્રે બિઝનેસ સેન્ટર બન્યું છે. બેંકની શાખાઓ શરૂ થવા પાછળનું મુખ્ય કારણ ડિપોઝીટ અને કેપિટલ છે. આરબીઆઇના નિયમોનુસાર બેંકમાં એનઆરઆઈ વિદેશી ચલણમાં પણ ફંડનું રોકાણ કરી શકે છે.’ – સિનિયર બ્રાન્ચ મેનેજર, દેના બેંક.

એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ
‘ધર્મજ ગામના મોટા ભાગના પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. ગામમાં બેંકોની શાખાઓ શરૂ થવાનું મુખ્ય કારણ એનઆરઆઇ ડિપોઝીટ છે. ડિપોઝીટ કલેક્શનમાં ધર્મજની બેંકો અગ્રેસર રહી છે.’ – અધિકારી, ધી ધર્મજ કો.ઓપરેટિવ બેંક.

ધર્મજમાં એનપીએ 0 ટકા
‘બેંક ઓફ બરોડાની ધર્મજ શાખામાં અંદાજે 8100 ખાતેદારો છે, જે પૈકી 65 એનઆરઆઈ ખાતેદારો છે. અહીં ડિપોઝીટના પ્રમાણમાં લોનનું પ્રમાણ નહિંવત છે. તેમજ એનપીએ(નોન પરફોર્મિગ અસેટ) 0 ટકા છે. મોટાભાગના લોકો એગ્રિકલ્ચર લોન માટે જ આવે છે.’ – બ્રાન્ચ મેનેજર, બેંક ઓફ બરોડા.