રંગીન મિજાજના જીજાજીનું દિલ સાળી પર થઈ ગયું ફિદા પછી જે થયું તે તમે વિચાર્યું પણ નહીં હોય

‘સાલી આધી ઘરવાલી’ એ કહેવાત મજાકમાં કહેવાય છે. પણ રાજકોટમાં તો ખરેખર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રંગીલા જીજાજીનું દિલ નાની સાળી પર આવી જતા પત્નીને જ કહ્યું કે તેની સાથે ગોઠવી આપે. પતિના આવી દિલફેંક મિજાજથી રોષે ભરાયેલી પરિણીતાએ આ મામલે પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ શહેરના રૈયા રોડ પર રહેતા જિજ્ઞાબેન દેવરાજભાઈ રામાનુજના લગ્ન અમદાવાદમાં રહેતા દેવવ્રત સાથે વર્ષ 2013માં થયા હતા. આ મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક ત્રાસ સહિતની ફરિયાદ નોંધાવી છે. આ સાથે પોતાના પતિ દેવવ્રત હરેશભાઈ રામાનુજ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલાએ દાવો કર્યો છે કે તેના આશિક મિજાજી પતિએ તેમની સૌથી નાની બહેન એટલે કે સૌથી નાની સાળી પર નજર બગડી હતી. એટલું જ નહીં નફ્ફટ બનીને તેની સાથે સેટિંગ એટલે કે ગોઠવણ કરી દેવા માટે દબાણ કર્યું હતું. ગત સપ્ટેમ્બર મહિનામાં દેવવ્રતે જિજ્ઞાબેન સાથે ઝઘડો કરીને જિજ્ઞાબેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મહત્વનું છે કે આ દંપતીને સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ જિજ્ઞાબહેન પતિ સાથે રાજકોટમાં રહેતા હતા. જો કે લગ્નના ચાર વર્ષ બાદ બધા અમદાવાદ રહેવા ગયા હતા. મહિલાનો આરોપ છે કે સાસરિયાઓને પહેલેથી જ તેમને ગમાડતા નહોતા. જેથી તેઓ જિજ્ઞાબહેનને કાયમ શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા. જેના કારણે તેમણે કંટાળીને 21 જાન્યુઆરી 2019માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ પોતાનું ઘર ન તૂટે તે માટે અંતે જિજ્ઞાબહેને સમાધાન કરીને કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લીધો હતો. જો કે પોલીસ કેસ પાછો ખેંચી લેતાં ભૂતકાળમાં જે કેસ કર્યો હતો તેની અદાવત રાખી નાની નાની બાબતોમાં સાસરિયા પક્ષના લોકો પરિણીતાને હેરાન કરતા હતા. જિજ્ઞાબહેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના નાના નણંદ સપનાબેન જયદીપભાઇ કુબાવતના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેઓ તેમના જ ઘરે રહેતા હતા અને ઘરમાં કોઈપણ જાતનું કામ પણ કરતા ન હતા. પતિ દેવ વ્રત હરેશભાઈ રામાનુજ તેમની નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવાનું પણ દબાણ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકાડઉન સમયે રાજકોટ સહિત રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના અત્યાચારનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં છૂટાછેડા માટેની અરજીઓ પણ વધી હોવાનું સામે આવ્યું છે. કોરોના આવ્યો ત્યારથી ઘરે રહીને કામ કરવાના કારણે પતિ-પત્ની તેમજ સાસરીયાઓ વચ્ચે વિવિધ મુદ્દે વાદ વિવાદ થતા રહેતા હોય છે. જેના કારણે અનેક મહિલાઓએ શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની છે.