દેશમાં છેલ્લાં થોડા વર્ષોથી મોબલિંચિંગની ઘટનાઓ ઘટી રહી છે. ખોટી અફવાઓ પર વિશ્વાસ કરીને ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તો કેટલાંક લોકોને ઘાયલ કરી દેવામાં આવ્યા છે. એવી જ એક હ્રદયદ્રાવક ઘટના 17 જૂન 2019નાં રોજ સામે આવી હતી. જ્યારે ભીડે બાઈક ચોરીની શંકામાં તબરેઝ અંસારીને ખરાબ રીતે માર્યો હતો. ઘટનાના પાંચ દિવસ બાદ તબરેઝનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયુ હતુ. પોતાના પતિની હત્યાનાં 9 મહિના બાદ હવે મૃતકની પત્ની શાઈસ્તા પરવીને સરકારની પાસે ન્યાયની અને સરકારી નોકરીની માંગ કરી છે.
વાસ્તવમાં બુધવારે તબરેઝની પત્ની શાઈસ્તા પરવીન પોતાના ક્ષેત્રનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઈરફાન અંસારીની સાથે વિધાનસભા પહોંચી હતી. જ્યાં મહિલાએ સદનમાં રાજ્ય મુખ્યમંત્રી હેમંત સોરેન અને દરેક મંત્રીઓની સામે ન્યાયની માંગ કરી હતી. તેની સાથે ધારાસભ્ય ઈરફાને સદનમાં ચર્ચા કરતાં કહ્યુ હતુકે, માનનીય મુખ્યમંત્રી તબરેઝનું મોતને એક વર્ષ થવાનું છે પરંતુ તેનાં પરિવારનાં લોકોને હજી સુધી ન્યાય મળ્યો નથી.
પીડીતા શાઈસ્તા પરવીને સરકારને કહ્યુકે, મારી પાસે એટલાં રૂપિયા થી હું મારા પતિની હત્યાનો કેસ લડી શકુ અને હત્યારાઓને સજા અપાવી શકુ. એટલા માટે મારી સીએમને વિનંતી છેકે, મારી મદદ કરો. શાઈસ્તા પરવીન પોતાનું દર્દ જણાવતા રોવા લાગી હતી. કહ્યુ, મારા લગ્નને ફક્ત 54 દિવસ જ થયા હતા અને ભીડે મારા પતિને મારી-મારીને હત્યા કરી નાંખી. હું મારું ગુજરાન ચલાવવા માટે અને ન્યાય માટે ભટકી રહી છું.
પીડીતા શાઈસ્તાએ કહ્યુકે, હેમંત સરકાર મને સરકારી નોકરી આપે અને કેસ લડવા માટે આર્થિક મદદ પણ કરે, સાથે જ કડક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરે. જણાવી દઈએકે, 17 જૂને સરાયકેલાનાં ઘાતકીહીડ ગામમાં ચોરીનાં આરોપમાં ગામલોકોએ તબરેઝ અંસારીને આખી રાત માર્યો હતો. ત્યારબાદ તેને સ્થાનિક વહીવટી તંત્રએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ ઘટનાનાં પાંચ દિવસ બાદ તબરેઝનું મોત થયુ હતુ.
આ મામલામાં ઘણા પ્રકારનાં આરોપો સામે આવ્યા છે. તો એસપી અને પ્રશાસનનું કહેવું છેકે, તબરેઝનું મોત મારપીટનાં કારણે નહી પરંતુ હાર્ટએટેકનાં લીધે થયુ હતુ. આ ઘટનામાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં પુરાવા ન મળવાને કારણે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
મૃતક તબરેઝ અંસારી અને શાઈસ્તા પરવીનનાં લગ્ન 27 એપ્રિલે થયા હતા. પરિવારનાં લોકો મુજબ, લગ્ન પહેલાં તબરેઝ પુણાથી ગામમાં આવ્યો હતો. તે ઈદ મનાવવા માટે રોકાઈ ગયો હતો,પરંતુ તે પહેલાં જ તેનું મોત થયું હતું.