સોનાના બેડ પર સૂતા આર્યનની થઈ દયનીય સ્થિતિ, ભૂખ નથી કહીને ખાવાનું કર્યું બંધ

મહેલ જેવા ઘરમાં રહેનારો શાહરુખનો દીકરો આર્યન આજે આર્થર રોડ જેલમાં બંદ છે. 8 ઓક્ટોબરની બપોરે તેને અહીંયા લાવવામાં આવ્યો હતો. જેલમાં બંધ આર્યનની પરિસ્થિતિ અંગે ચોંકાવનારી વાત સામે આવી છે. જેલ સૂત્રોના મતે, આર્યને જેલમાં આવ્યા બાદથી વ્યવસ્થિત રીતે ભોજન કર્યું નથી. તે છેલ્લાં ચાર દિવસથી કેન્ટીનમાંથી ખરીદેલા પાર્લેજી બિસ્કિટ પર છે.

સતત પ્રયાસો બાદ પણ કંઈ જ ખાતો નથી
જેલના અધિકારી તથા કર્મચારીઓ તેને સમજાવી રહ્યા છે, પરંતુ આર્યને ભૂખ નથી એમ કહીને કંઈ પણ ખાતો નથી. આ વાત ત્યારે સામે આવી જ્યારે આજે (12 ઓક્ટોબર) સવારે આમદ વોર્ડના બાબા (કોન્સ્ટેબલ)એ આર્યનને પાર્લેજી બિસ્કિટ લઈને આપ્યા હતા. આર્યનની પાસે માત્ર 3 બોટલ પાણી વધ્યું છે. પાણીની એક ડઝન બોટલ તેણે જેલમાં એન્ટ્રી પહેલાં જ ખરીદી હતી.

કેદી 2500 રૂપિયા લઈને અંદર જઈ શકે છે
જેલ મેન્યુઅલના મતે, એક કેદી પોતાની સાથે માત્ર 2500 રૂપિયા અંદર લઈને જઈ શકે છે. આ પૈસા જેલના અકાઉન્ટમાં જમા થાય છે અને એક મહિનાની કૂપન કેદીને આપવામાં આવે છે. આ કૂપવનો ઉપયોગ તે જેલની કેન્ટીનમાંથી ભોજન, સાબુ, તેલ તથા ટૂથપેસ્ટ ખરીદવામાં આવે છે. જેલની કેન્ટીનમાં નમકીન, બિસ્કિટ તથા ચિપ્સ પણ મળે છે.

જેલ કર્મીઓને આર્યનની તબિયતની ચિંતા
જેલ સૂત્રોના મતે, આર્યનનું પેટ પણ 3-4 દિવસથી સાફ થયું નથી. તે ટોઇલેટ ગયો ના હોવાથી જેલ અધિકારીઓ પણ ચિંતામાં છે કે ક્યાંક તેની તબિયત બગડી ના જાય. જેલકર્મી તથા આમદ વોર્ડના બાબા તેને સમજાવી રહ્યા છે, પરંતુ તે માનતો નથી.

જેલમાં 4 દિવસથી નહાયો નથી
આર્યન તથા અરબાઝ એક જ કોટડીમાં છે. આર્યનને ઘરેથી બે ચાદર તથા કેટલાંક કપડાં આવ્યા છે અને જેલ તરફથી એક બ્લેન્કેટ આપ્યો છે. એવી વાત પણ સામે આવી છે કે આર્યન છેલ્લાં 4 દિવસથી નહાયો નથી. જોકે, જેલના નિયમ પ્રમાણે, તેણે રોજ શેવિંગ કરવું પડે છે.

જે સેલમાં સંજય દત્ત હતો, તે જ સેલમાં આર્યન
સૂત્રોના મતે, હાલમાં બચ્ચા વોર્ડની નીચેવાળી કોટડીમાં આર્યનને ક્વૉરન્ટિન કરવામાં આવ્યો છે. આ કોટડીમાં તેની સાથે બે વૃદ્ધો, એક વિકલાંગ સહિત ત્રણ કેદી છે. આ સેલમાં કેટલાંક દિવસો સંજય દત્ત પણ રહ્યો હતો. આર્યનનો ક્વૉરન્ટિન પીરિયડ પૂરો થતાં જ તેને નોર્મલ વોર્ડમાં મોકલવામાં આવશે. તે વોર્ડમાં એક સાથે 500 લોકો રહી શકે છે.

જામીન અરજી ફગાવી તો મુશ્કેલી વધશે
આર્યન જે વોર્ડમાં રહે છે, તેની બાજુમાં કેન્ટીન છે. આથી જ તેને ચીજ વસ્તુઓ ખરીદવામાં કંઈ વાંધો આવતો નથી. જોકે, બુધવાર 13 ઓક્ટોબરના રોજ તેની જામીન અરજી ફગાવવામાં આવી તો તેના માટે મુશ્કેલી વધી શકે છે. તે આગામી મહિને માત્ર અઢી હજાર રૂપિયા જ જેલમાં ખર્ચ કરી શકશે.

ત્રણ લોકો 24 કલાક આર્યન પર નજર રાખે છે
જેલ સૂત્રોના મતે, વોર્ડના જવાબદાર તથા બે સંતરીઓ આર્યન પર નજર રાખે છે. આર્યન આખો દિવસ કોઈની સાથે વાત કરતો નથી. જો કોઈ તેને સવાલ પૂછે તો માત્ર જવાબ આપે છે. આર્યનનો જવાબદાર ચેમ્બુક બેંક લૂટનો એક 21 વર્ષનો આરોપી છે. સામાન્ય રીતે દરેક કોટડીમાં એક જવાબદાર રાખવામાં આવે છે. આનું કામ અન્ય કેદીઓ પર નજર રાખવાનું તથા તેમને કંટ્રોલ કરવાનું હોય છે.

આર્યનને ચાર દિવસથી કોઈ મળવા આવ્યું નથી
જેલમાં અંડા સેલની બાજુમાં બચ્ચા વોર્ડ છે. આર્યનની કોટડીની બારી અંડા સેલ તરફ ખુલે છે. અંડા સેલમાં અનેક નામચીન ગુનેગારો બંધ છે. જે ફ્લોર પર આર્યન ખાનને છે, તે વોર્ડમાં કોઈને પણ કામ વગર જવાની પરવાનગી નથી. અત્યાર સુધી આર્યનને સત્તાવાર રીતે કોઈ મળવા આવ્યું નથી. બે દિવસ પહેલાં મુલાકાતનો સમય પૂરો થયા બાદ એક વ્યક્તિ મળવા આવ્યો હતો, પરંતુ નિયમને કારણે તેને મળવા દેવામાં આવ્યો નહોતો. જોકે, તેને કોણ મળવા આવ્યું હતું, તે નામ જાહેર કરવામાં આવ્યું નથી.