બબીતા-ટપુડા લગ્ન કરવાના છે? જાણો પહેલી જ વાર બંને ચૂપ્પી તોડીને કહી દીધી આ વાત

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજી અને જેઠાલાલ વચ્ચે સારું બોન્ડિંગ બતાવવામાં આવ્યું છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી રિયલ લાઇફમાં બબીતા (મુનમુન દત્તા) તથા જેઠાલાલનો દીકરો ટપુ (રાજ અનડકટ) વચ્ચે સંબંધો હોવાની ચર્ચા ચાલે છે.

ચર્ચા હતી કે બબીતા તથા ટપુ વચ્ચે રિયલ લાઇફમાં અફેર છે. આ વાત બહાર આવતા જ સો.મીડિયામાં બંનેને ટ્રોલ કરવામાં આવ્યા હતા અને અનેક જોક્સ બનાવવામાં આવ્યા હતા. હવે બંનેએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

મુનમુન દત્તાએ કહ્યું હતું, ‘મારે સામાન્ય જનતાને કહેવું છે કે મને તમારા કરતાં વધારે એક્સપેક્ટેશન છે. જોકે, તમે જે રીતે કમેન્ટ કરી છે તેનાથી ખ્યાલ આવે છે કે શહેર હોય કે નગર કે પછી આપણી સોસાયટી, આ સમાજની વિચારધારા ઘણી જ પછાત છે. માત્ર તમારા લોકોના હ્યુમરને કારણે મહિલાઓને ઉંમરને કારણે, માતા હોવાને કારણે કઈ હદે શરમમાં મૂકાવું પડે છે. આ બેવફૂકીપણું સતત થાય છે. જોકે, તમારા હ્યુમરના ચક્કરમાં કોઈએ મેન્ટલી કેટલું ડિસ્ટર્બ થવું પડે છે તે અંગે કોઈ વિચારતું નથી.’

વધુમાં મુનમુન દત્તાએ કહ્યું હતું, ‘જો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ડિપ્રેસ્ડ જોવા મળે અને આત્મહત્યા કરવા અંગે વિચારે તો તમારે થોડું વિચારવાની જરૂર છે કે તમે એવું શું કહ્યું હતું કે તેનાથી ત્રાસીને તે ડિપ્રેશનમાં આવી ગયો. આજે મને ભારતની દીકરી કહેવા પર શરમ આવે છે. 13 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને તમને લોકોને મારી ડિગ્નિટી પર સવાલ કરવામાં 13 મિનિટ પણ ના થઈ. તમને કોઈ હક આપ્યો કે તમે કંઈ પણ લખી નાખો. કોઈની પર્સનલ લાઇફ જાણ્યા વગર તેના વિશે મનફાવે તેમ છાપી દો. તે પણ તેની સહમતિ વગર. શું તમારા આ વર્તનથી કોઈના અંગત જીવનમાં જે નુકસાન થશે તેની જવાબદારી લેવા માટે તમે તૈયાર છો?’

રાજ અનડકટે કહ્યું હતું, ‘જે લોકો સો.મીડિયામાં મારા વિશે ગમે તેમ લખે છે, મહેરબાની કરીને એકવાર વિચારો કે મારા જીવનમાં આ કારણે કેટલી સમસ્યા આવશે. મારા વિશે ચાલતા આ ન્યૂઝ મારી સમંતિ વગર છાપવામાં આવે છે. જે પણ ક્રિએટિવ લોકો આ બધું કરી રહ્યા છે, મહેરબાની કરીને તમારી રચનાત્મકતા અન્ય કોઈ બાબતમાં લગાવો. ભગવાન તેમને સારા વિચારો આપે.’