સુરતમાં ડૉક્ટર પુત્રીએ કેમ માતા અને ટીચર બહેનને ઝેરી ઈન્જેક્શન આપ્યા? કેમ પોતે ઉંઘની ગોળીઓ ખાધી?

સુરતમાં રક્ષાબંધનના પર્વ પર જ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ડોક્ટર દીકરીએ માતા અને પુત્રીને ઝેરના ઈન્જેક્શન આપી પોતે ઉંઘની ગોળીઓ પી લીધી હતી. જેમાં માતા અને એક ટીચર પુત્રીનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ  સુરતના ચીકુવાડી વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં રક્ષાબંધનના દિવસે સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડોક્ટર દીકરીએ જ માતા અને બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપી પોતે પણ ઈન્જેક્શન માર્યું હતું. જ્યારે દીકરી દર્શના સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે ડી.જી. ચાવડા (એસીપી)એ મીડિયાને જણાવ્યું હતું કે, ડોક્ટર દીકરી દર્શના જીવનથી કંટાળી ગઈ હતી. માતા અને બહેન તેમની પર ડિપેન્ડન્ટ અને લાગણીથી જોડાયેલા હતા. તેમની સાથે એમના ભાઈ-ભાભી રહેતા હતા. પરંતુ ત્રણ દિવસથી ભાઈ-ભાભી બહાર હતા. જેથી સાથે આપઘાતનું પગલું ભર્યું હતું. ડોક્ટર દીકરી દર્શનાએ માતા અને બહેનને ઝેરી દવા સાથેનું ઈન્જેક્શન આપી પોતે ઉંઘની ગોળીઓ પીધી હતી. હાલ ચોકબજાર પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે ટીચર હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે.

પ્રજાપતિ સમાજમાં એકાએક બનેલી ઘટનાને લઇને સમગ્ર સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. રક્ષાબંધનના દિવસે જ આ પ્રકારની ઘટના બની છે તેને લઈને પારિવારિક કંકાસ હોય શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે પોલીસે આસપાસના લોકોના નિવેદન લેવાના શરૂ કરાયા છે તેમજ પરિવારના અન્ય લોકોનો પણ સંપર્ક સાધવાનું શરૂ કરાયું છે. રક્ષાબંધનના દિવસે જ બનેલી આ કરુણાંતિકાને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સાથે ત્રણ મહિલાઓએ આપઘાતનું પગલું ઉપાડતા સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા છે.