બનાસકાંઠામાં પત્ની સાથે આડા સંબંધોની શંકામાં નાનાભાઈએ જ મોટાભાઈની કરી હત્યા

બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાના દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ નજીકના લોકોનાં ટોળાં વળ્યાં હતાં અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

મહત્વની વાત છે કે, રતુભાઈને પોતાની પત્ની સાથે મનમેળ ન હોવાથી છૂટાછેડા લઈને એકલા જ રહેતા હતા. જેથી તેમનો નાનો ભાઈ ભરતભાઈ તેની પત્નીને મોટાભાઈ રતુભાઈ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો અને અવાર-નવાર આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થતી હતી.

જોકે ગઈ મોડીરાત્રે બંને ભાઈ વચ્ચે ભારે બબાલ થઈ હતી ત્યાર બાદ રતુભાઈ ખાટલામાં સુઈ રહ્યાં હતાં ત્યારે ભરતે રતુભાઈના માથામાં પાવડાના હાથાથી ઉપરાં ઉપરી ઘા મારી હત્યા કરી નાખી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ હચમચાવતી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા પોલોસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતી. જ્યારે દાંતીવાડા મામલતદાર તેમજ એફએસએલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો જ્યારે પોલીસે હત્યારા ભરત સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ ગામમાંથી લોકોના ટોળાં ઉમટ્યાં હતાં. સ્થાનિકોમાં પણ એક જ ચર્ચા ચાલતી હતી કે, પત્ની સાથે આડા સંબંધોની શંકા રાખીને નાનાભાઈએ જ મોટાભાઈને હત્યા કરી નાખી હશે.