અમદાવાદઃ માહ મહિનામાં અંધારિયામાં તેરસના રોજ શિવરાત્રિ ઉજવવામાં આવે છે. જ્યોતિષાચાર્યોના મતે, જ્યારે સૂર્ય કુંભ રાશિ તથા ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે શિવરાત્રિ મનાવવામાં આવે છે. શિવરાત્રીની પૂજા રાતે 12થી 1ની વચ્ચે થશે.
આ વખતે 117 વર્ષ બાદ શિવરાત્રિના દિવસે અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. શનિ સ્વયંની રાશિ મકરમાં છે. શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હશે, જે એક દુર્લભ યોગ છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ સૂર્ય મજબૂત કરવો હોય, સરકારી કામમાં સફળતા મેળવવી હોય તો તાંબાના લોટામાં પાણી લઈને શિવલિંગ પર અભિષેક કરવો.
પરિણીત યુગલે જીવનમાં શાંતિ રાખવી હોય તો શિવલિંગ પર અભિષેક કરવો. એ વાતનું ધ્યાન રાખવું કે જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ હોય તો શિવ-પાર્વતીની પૂજા કર્યાં બાદ સાત કન્યાઓને ભોજન કરાવવું તથા જળ અને તુલસીપત્ર ભગવાનને ચઢાવવું.
જ્યોતિષાચાર્યોના મતે, કેતુ ગ્રહને મજબૂત કરવા માટે જળમાં મધ ઉમેરીને શિવલિંગ પર અભિષેક કરવો. કુંડળીમાં ચંદ્રમાને મજબૂત કરવા માટે કાચા દૂધનો અભિષેક કરવો. ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે માથા પર તિલક કરો. કેસર મિશ્રિત જળ અર્પિત કરવો. શિવલિંગમાં સૌથી વધુ એનર્જી હોય છે.
રાશિ પ્રમાણે ઉપાયોઃ વૃષભઃ દૂધ મિશ્રિત જળ ચઢાવો. મિથુનઃ દહીં મિશ્રિત જળ ચઢાવો. કર્કઃ ચંદન તથા અત્તર અર્પણ કરો.
સિંહઃ ઘીનો દીવો કરો. કન્યાઃ પાણીમાં કાળા તલ નાખીને શિવલિંગ પર ચઢાવો. તુલાઃ પાણીમાં સફેદ ચંદન નાખો. વૃશ્ચિકઃ જળ તથા બીલી પત્ર ચઢાવો.
ધનઃ અબીલ તથા ગુલાલ ચઢાવો. મકરઃ ભાંગ તથા ધતૂરો ચઢાવો. કુંભઃ ફૂલો ચઢાવવા. મીનઃ શેરડીનો રસ તથા કેસરની અભિષેક કરો.