ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ફેમિલીની પહેલીવાર જ જુઓ દુર્લભ તસવીરો

અમદાવાદ: મોરારિબાપુ…..આ નામ સાંભળતા જ મનમાં એક શાંત અને દિવ્ય ચહેરો ઉપસી આવે. આજે ગુજરાતમાં એવું કોઈ નહીં હોય જે સંત મોરારિબાપુને ઓળખતું નહીં હોય. લાખો લોકોને જિંદગીની સાચી રાહ દેખાડનાર આ મહામાનવનો આજે 75મો જન્મદિવસ છે. રામ કથાની સાથે જીવનને મૂંઝવતા પ્રશ્નોના સહજ ઉકેલ આપતી કથા સાંભળવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે. મોરારિબાપુનો જન્મ મહુવાના તલગાજરડામાં વૈષ્ણવ પરિવારમાં થયો હતો. માતાનું નામ સાવિત્રીબેન, પિતાનું નામ પ્રભુદાસ હતું, તેમની અટક હરિયાની છે, બાપુને નાનપણથી જ ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમના દાદા ત્રિભુવનદાસ એક રામભક્ત હતા. મોરારિબાપુએ અત્યાર સુધીમાં 840 રામકથાઓ કરી છે.

રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજૂ કરનારા 75 વર્ષીય બાપુની સાદગીની કોઈ બીજી જોડ નથી. તેઓ ઉચ્ચ-નીચ અને ગરીબ-અમીરના ભેદ રાખતાં નથી. તેઓ સામાન્ય લોકોની સાથે નીચે બેસીને પણ જમે છે. ખેડૂતના ખેતરે ખાટલામાં બેસીને પણ ગોષ્ઠી કરે છે. (તસવીરમાં તલગાજરડા ખાતે મોરારિબાપુ, તેમના પત્ની નર્મદાબેન, પુત્ર પાર્થભાઈ અને બાપુની ત્રણ દીકરીઓ)

મોરારિબાપુના દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. મોરારીબાપુ તલગાજરડાથી મહુવા ચાલતા સ્કૂલે જતા હતા. પાંચ કિલોમીટરના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ પાંચ ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી, આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગઈ. દાદાજીને જ બાપુએ પોતાના ગુરુ માની લીધા હતા.

14 વર્ષની ઉંમરે મોરારિબાપુએ પહેલીવાર તલગાજરડામાં ચૈત્ર માસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન રામકથામાં વધુ લાગ્યુ હતું. તેઓ પછી મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા હતા. રામકથામાં એટલાં મગ્ન થઈ ગયા હતા કે તેમણે પાછળથી નોકરી છોડી દીધી હતી.

ધીમે ધીમે મોરારિબાપુની ખ્યાતિ વધતી ગઈ. તેમની કથા જ્યાં પણ હોય લોકો એકચિત્તે સાંભળતા હતા. મોરારિબાપુ મહુવા, ભાવનગર ઉપરાંત ગુજરાતના અનેક શહેરોમાં રામકથા કરવા લાગ્યા. ગુજરાત બહાર પણ બાપુની કથાના આયોજન થવા લાગ્યા. એટલું જ નહીં વિદેશમાં પણ યજમાનો કથા માટે મોરારીબાપુને બોલાવતા થયા.

મોરારિબાપુની વાણીમાં સદાય અમૃત રસ વહેતો હોય છે, મોરારિબાપુના મુખેથી નીકળતી રામ નામની ચોપાઈ સાંભળવા લોકોનું મન ઉત્કષ્ટ રહેતું હોય છે, મોરારીબાપુને શાસ્ત્રોમાં ખુબ જ હેત છે.

એટલું જ નહીં મોરારિબાપુએ હજારો લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે, બાપુએ સમાજને હિતમાં અનેક સેવા કાર્યો કર્યા છે. બાપુ તેમના શિષ્યોને કહે છે કે સેવા કરવી હોય તો દુઃખિયાના આંસુ લૂછો, સદાવ્રત ખોલો, સમાજને ઉપયોગી એવા કાર્યોમાં ધન વાપરો જેથી મારો રામ રાજી થશે.

મોરારિબાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા. તેમને ચાર બાળકો છે, જેમાં ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. પહેલા તો પરિવારના ગુજરાન માટે રામકથાથી મળનારુ દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ વાત તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.

મોરારિબાપુ કથા કરવા માટે વર્ષ 1977થી એક રૂપિયો નથી લેતા. તેમનું માનવું છે કે જે પણ કાંઈ છે, એ સમાજનું છે અને હું સમાજને સામે આપું છું. કથા દ્વારા મોરારિબાપુએ અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોને મોરારીબાપુએ કરોડો રૂપિયા ભેગા કરી આપ્યા છે.

મોરારિબાપુ કથા ના ચાલતી હોય એ દરમિયાન મૌન પાળે છે. એટલું જ નહીં તેમના તલગાજરડા ખાતેના આશ્રમમાં કોઈ કાર્યક્રમ હોય તો તેઓ મૌન રહીને જોવા અને સાંભળવાનું વધુ રાખે છે.

મોરારિબાપુને કલા અનેસા હિત્યમાં ઉંડું જ્ઞાન છે. તેમના વતન તલગાજરડા સ્થિત આશ્રમમાં લોકસાહિત્યકારોને ચિત્રકુટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત અસ્મિતા પર્વની પણ ઉજવણી થાય છે, જેમાં દેશના ખ્યાતનામ લોકો ભાગ લે છે.

પોતાની અનોખી શૈલીથી કથા કરવાને લીધે તેમની દરેક કથામાં નવિનતા હોય છે. વૃદ્ધો તો ખરા જ પરંતુ યુવાનોનો પણ બહોળો વર્ગ રામકથા પ્રત્યે આકર્ષિત થયો એ બાપુની વાણી અને અદ્દભુત શૈલીનો જ તો પ્રભાવ છે.

મોરારિબાપુના ખભા પર રહેનારી ‘કાળી શાલ’ને વિશે અનેક માન્યતા પ્રચલિત છે. એક માન્યતા એવી પણ છે કે કાળી શાલ હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. પણ મોરારિબાપુનું કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે, તેથી જ હું આ શાલને ખભા પર રાખું છુ.

મોરારિબાપુ સાદુ ભોજન ગંગાજળમાંથી બનાવેલી રસોઇ જમે છે, પણ બાપુને મરચાના ભજીયા અને વણેલા ગાંઠીયા પ્રિય છે.

બાપુએ મહુવાની ટોકિઝમાં ‘પાકિઝા’ ફિલ્મ જોયેલી. બાપુને ગમતા ગીતો ‘ચલતે ચલતે’, ‘પગ ઘુંઘરું બાંધ મીરા’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘જાને કહા ગયે વો દિન’નો સમાવેશ થાય છે.

ચિત્રકુટ ધામ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નદીઓના તળ ઉંડા કરવા, ચેકડેમ સફાઈ, નદી-નાળાનો કાપ કાઢવા જેવા સમાજલક્ષી કાર્યો કરવામા આવે છે.


મોરારિબાપુની દુર્લભ તસવીર.

તસવીરો સૌજન્ય: ફેસબુક