ભાજપના આ સાંસદ ગરીબો માટે બની ગયા દરજી, આ દ્રશ્ય જોઈને લોકોએ કર્યાં ભરપૂર વખાણ

ભોપાલ: વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ લડવા માટે આજકાલ દરેક પોતાની રીતે બની શકે તેટલી મદદ કરી રહ્યાં છે. આ લડાઇમાં સરકાર સિવાય દેશની અનેક સામાજિક સંસ્થા અને સામાન્ય લોકો કોરોના વિરૂદ્ધ યોદ્ધા બની રહ્યાં છે. તેઓ લોકોને જમવાથી લઇને રાશન પહોંચાડી રહ્યાં છે. આ દરમિયાન મધ્યપ્રદેશના રિવા જિલ્લાની એક તસવીર સામે આવી છે જેના લોકો ભરપૂર વખાણ કરી રહ્યાં છે.

વાત એવી છે કે તસવીરમાં દેખાતા આ શખ્સ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. આ વ્યક્તિ મધ્ય પ્રદેશના રિવાથી ભાજપ સાંસદ જનાર્દન મિશ્રા છે. તે કોરોનાને હરાવવા માટે આગળ આવ્યા છે. સાંસદે લોકડાઉનના નિયમોનું પાલન કરી ઘરમાં જ માસ્ક તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે.

સાંસદ જનાર્દન મિશ્રા પહેલા માસ્ક બનાવે છે પછી જરૂરિયાતમંદ લોકો પાસે જઇને માસ્કનું વિતરણ કરે છે. એટલું જ નહીં તે ભાજપ મહિલા મોરચાના સભ્યોને માસ્ક સીવવા માટે કાપડ પણ પુરું પાડે છે. એક સાંસદ દ્વારા અનોખી રીતે સેવા પૂરી પાડવાની કામગીરીની સોશિયલ મીડિયા પર ખુબ જ સરાહના કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં જનાર્દન મિશ્રાના આઇએએસ નગર નિગમ આયુક્ત સભાજીત યાદવને જીવતો દફનાવી દેવાની ધમકી આપી ચર્ચામાં આવ્યા હતા. સાંસદે ધમકી આપતા કહ્યું હતું કે જો ગેરકાનુની રીતે કોલોનીમાં રહેતા લોકો પાસેથી પૈસા માગ્યા તો તેને જીવતો દફનાવી દેશે.

મિશ્રાએ પોતાના લોકસભા વિસ્તાર રિવામાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જન જાગરૂકતા લાવવાનું કામ પણ કર્યું છે. તેમની કામગીરીની ખુદ વડાપ્રધાન મોદી પણ વખાણ કરી ચૂક્યા છે.

મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા હવે 313 સુધી પહોંચી ગઇ છે. જેમાં સૌથી વધુ ઇંદોર શહેરમાં 173 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે રાજધાની ભોપાલમાં હવે કોરોના સંક્રમણ છેલ્લા પાંચ દિવસમાં વધીને 84 થઇ ગયા છે. મધ્યપ્રદેશમાં કોરોનાના લીધે અત્યારસુધીમાં 23 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.