કોરોનાને કારણે મુકેશ અંબાણીએ ગુમાવી અબજોની સંપત્તિ, છતાંય આ કંપનીમાં કેમ કર્યું 500 કરોડનું રોકાણ!

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે કોરોના મહામારીને કારણે બધી જ સંસ્થાઓ બંધ છે, જેને કારણે ભણવાનું સૌથી ઉત્તમ સાધન ઓનલાઈન ક્લાસિસ છે. આ ઓન લાઈન લર્નિંગ પ્લેટફોર્મ પર ઘણો ગ્રોથ જોવા મળી રહ્યો છે. દેશનાં સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીએ આ વાતને ધ્યાનમાં લઈને Embibe નામની ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ કંપનીમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આ નિર્ણય મુકેશ અંબાણીએ એવાં સમયે કર્યો છે, જ્યારે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપર 1.5 લાખ કરોડનું દેવું છે.

કોરોના વાયરસનો માર દુનિયાભરની અર્થવ્યવસ્થા પર પડ્યો છે. એવામાં દુનિયાનાં ઘણા અબજપતિઓને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. એવી જ પરિસ્થિતિ દેશનાં સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીની પણ છે. ઉલ્લેખનીય છે કે, કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવવાને કારણે દેશનાં સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 28%નો ઘટાડો આવ્યો છે. અંબાણીને બે મહિનાની અંદર 31 માર્ચ સુધી દરરોજનું 2100 કરોડ રૂપિયા(30 કરોડ ડોલર)નું નુકસાન થઈ રહ્યુ છે. અને તેમની કુલ સંપત્તિ હવે ફક્ત 3.36 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે.


હુરૂન ગ્લોબલ રિચ લીસ્ટ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)નાં ચેરમેન તેમજ એમડીની કુલ સંપત્તિમાં 1.33 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે તેઓ દુનિયાનાં સૌથી પૈસાદાર લોકોની યાદીમાં 8માં સ્થાનેથી ખસકીને 17માં સ્થાને પહોંચી ગયા છે.

એવામાં આ પ્રકારનું રોકાણ કરીને મુકેશ અંબાણી પોતાની માર્કેટ પોઝીશન પહેલાં જેવી જ કરવા માંગે છે. જેમ કે ભારતની સૌથી મોટું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ BYJU’S હાલમાં ફાયદામાં ચાલી રહ્યુ છે. સ્કૂલ અને કોલેજ બંધ હોવાને કારણે ફક્ત માર્ચમાં જ BYJU’Sનાં પ્લેટફોર્મ પર લગભગ 6 કરોડ નવા વિદ્યાર્થીઓએ એડમિશન લીધુ છે.

મુકેશ અંબાણીએ આ પહેલાં પણ આ કંપનીમાં 90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. Embibeને 2012માં અદિતિ અવસ્થી નામની એક મહિલા ઉદ્યમીએ શરૂ કરી હતી. રિલાયન્સે વર્ષ 2018માં આ કંપનીનો 73% હિસ્સો ખરીદ્યો હતો.

હાલમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બજારમાં એનસીડી (Non-Convertible Debentures) દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્ર કરવાની વાત કહી હતી. કાચા તેલની કિંમતમાં ઘટાડો આવવાને કારણે કંપનીને નુકસાન થયુ હોવાનું કહેવામાં આવ્યુ છે.


આ વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેર્સ 30 ટકા સુધી ઘટ્યા છે. આ દરમ્યાન બીએસઈ સેન્સેક્સમાં 32.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિતેલાં એક વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે બીએસઈ સેન્સેક્સમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સની માર્કેટ કેપિટલ લગભગ 6.8 લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીની રિલાયન્સમાં 42 ટકાની હિસ્સેદારી છે. RILએ પાછલાં વર્ષોમાં 5.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જેમાંથી ફક્ત Jioનો બિઝનેસ ઉભો કરવા માટે 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.