સુરતના આંગણે ભણેલી-ગણેલી યુવતી તમામ મોહમાયા છોડીને દીક્ષા ગ્રહણ કરશે

ગુજરાતમાં દિક્ષાનગરી તરીકે ઓળખાતા સુરતમાં અનેક યુવાઓએ દીક્ષા લઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક યુવતી આગામી દિવસોમાં સંયમને માર્ગે જશે. ફેશન ઈન્સ્ટિટ્યુટમાં ભણતી 24 વર્ષની યુવતી મે મહિનામાં દીક્ષા ગ્રહણ કરશે. આચાર્ય રત્નચંદ્રસુરી મહારાજે દીક્ષા મૂહુર્ત આપ્યું હતું.

સુરતના પાલનપુર વિસ્તારમાં પૂજા મહેતા પરિવાર સાથે રહે છે અને નજીકમાં આવેલા ગ્લેમરસ ક્ષેત્રે રસ ધરાવતી હોવાથી હાલ ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે. સુરત પાલ ગુરૂ રામપાવનભૂમિ ખાતે ગતચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજ્ય અભય દેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય, વિજય રત્નચંદ્ર સુરીશ્વરજીની નિશ્રામાં દિક્ષાનું મુહૂર્તગ્રહણ કરવામાં આવ્યું હતું. પૂજા આગામી 15 મે, 2020ના દિવસે દીક્ષા ગ્રહણ કરશે. સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બનશે.

દીક્ષા સ્વીકારવાની ભાવના કેળવનારા પૂજાએ ગ્રેજ્યુએશન કર્યું છે અને ફેશનની દુનિયામાં રસ ધરાવતી હોવાથી ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહી છે. જોકે હવે મોહમાયા છોડીને સંયમનો માર્ગ અપનાવશે. છેલ્લા એક વર્ષથી તે દીક્ષાની યોગ્યતા કેળવવા માટે મહારાજ સાહેબ પાસે રહી હતી. પૂજાના પિતા ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને માતા ગૃહિણી છે. તેમની મોટી બહેને સાત વર્ષ પહેલાં દીક્ષા ધારણ કરી ચૂકી છે. પૂજા મણીલક્ષ્મી તીર્થ મુકામે આચાર્ય રત્નચંદ્રસૂરી મહારાજના હસ્તે દીક્ષા લેશે.

પૂજા મહેતાએ જણાવ્યું હતું કે, બીકોમ કર્યાં બાદ જ્યારે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી હતી ત્યારે એક દિવસ મને દીક્ષા લેવાનો મનમાં વિચાર આવ્યો હતો. મારા માતા-પિતાની પણ ઈચ્છા હતી કે, હું દીક્ષાનો માર્ગ અપનાવું જેના કારણે મેં આ માર્ગ અપનાવ્યો છે. પરિવારની સંમતિ બાદ જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 મેના રોજ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરીશ.